સુરત રેલવે સ્ટેશનેથી મળી આવેલી ચાર સગીરાઓને RPF અને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 દ્વારા સુરક્ષિત આશ્રય અપાયો
કાઉન્સેલિંગ, મેડિકલ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ ચારેય સગીરાઓને બાળ સંભાળ સંસ્થામાં રખાઈ
સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે સુરક્ષા દળ (RPF) અને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ના રેલવે સ્ટેશન યુનિટ દ્વારા સુરત રેલવે સ્ટેશનેથી મળી આવેલી ચાર સગીરાઓને સુરક્ષિત આશ્રય અપાયો છે. ઘર છોડીને આવેલી આ ચાર સગીરાઓનું કાઉન્સેલિંગ, મેડિકલ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ ચારેય સગીરાઓને બાળ સંભાળ સંસ્થામાં રખાઈ સુરક્ષિત સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.
વહેલી સવારે ટ્રેનમાં એકલી મુસાફરી કરી રહેલી સગીરાઓ વિષે RPFની ટીમે સતર્કતા દાખવી તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ને જાણ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીરાઓ પરિવારને જાણ કર્યા વિના સુરતમાં રહેતા એક સગાને ત્યાં જઈ રહી હતી. સગીરાઓને અજાણ્યા સ્થળે એકલા મુસાફરી કરવાના જોખમો અને સુરક્ષા અંગે જણાવી હેલ્પલાઇન ટીમે પરિવારજનોનો સંપર્ક કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
RPFના સહયોગથી સગીરાઓન્ય મેડિકલ ચેકઅપ કરાવાયું હતું. ત્યારબાદ પરિવારજનો સુરત આવે ત્યાં સુધી કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૫ ની જોગવાઈ મુજબ બાળ સંભાળ સંસ્થામાં સુરક્ષિત રીતે આશ્રય અપાયો હતો.





