કાછલ સરકારી કોલેજમાં કાલિદાસ જયંતી અને અષાઢસ્ય પ્રથમ દિવસે વિશેષ વ્યાખ્યાન યોજાયું
મહુવા:સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલ ખાતે મહાકવિ કાલિદાસ જયંતી તેમજ ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ (અષાઢ માસના પ્રથમ દિવસ) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશભાઈ યુ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારા અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ કે. ગાંગુડે તથા સરકારી વિજ્ઞાન કોલેજ, આહવાના આચાર્યશ્રી ડૉ. અરુણભાઈ કે. ધારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બંને વિદ્વાન વક્તાઓ દ્વારા સંસ્કૃત સાહિત્યના શિરોમણિ મહાકવિ કાલિદાસના જીવન, તેમના કાવ્ય-નાટક સર્જન (કવન) તથા સંસ્કૃત સાહિત્યમાં ‘અષાઢ માસના પ્રથમ દિવસ’ના મહત્વ પર વિસ્તૃત, તર્કસંગત અને રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ પરિવારે આ જ્ઞાનવર્ધક વ્યાખ્યાનનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.





