મહુવા સુગર મિલમાં શેરડી નવા ભાવો જાણી ખેડૂતોમાં ભારે રોષ…..

દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં શેરડીના ભાવની જાહેરાત સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે મહુવા સુગર ફેક્ટરી દ્વારા વર્ષ 2025-26 માટે શેરડીનો અંતિમ ભાવ ટન દીઠ માત્ર 3101 રૂપિયા જાહેર કરવામાં આવતા ખેડૂત સભાસદોમાં વહીવટકર્તાઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ખેડૂતોની નિરાશાનું મુખ્ય કારણ ભાવમાં થયેલો મોટો ઘટાડો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મહુવા સુગરે ટન દીઠ રૂ. 170 ઓછો ભાવ આપ્યો છે. એક તરફ ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ સુગર ફેક્ટરી દ્વારા ભાવમાં કાપ મૂકવામાં આવતા ખેડૂતોની આર્થિક ગણતરીઓ ખોરવાઈ ગઈ છે.
મહુવા સુગરના ખેડૂતોમાં નારાજગી વધવાનું અન્ય એક કારણ પાડોશી સુગર ફેક્ટરીઓ સાથેની સરખામણી છે. દક્ષિણ ગુજરાતની અન્ય સાત મોટી સુગર ફેક્ટરીઓએ જાહેર કરેલા ભાવની તુલનામાં મહુવા સુગરનો ભાવ સૌથી નીચો રહ્યો છે.અન્ય ફેક્ટરીઓ જ્યારે સારો ભાવ આપી રહી છે, ત્યારે મહુવા સુગરના નબળા વહીવટને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમ એક રોષે ભરાયેલા સભાસદે જણાવ્યું હતું.
ભાવ જાહેર થતા જ સોશિયલ મીડિયાથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ફેક્ટરીના વહીવટ સામે સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અન્ય સુગર ફેક્ટરીઓની તુલનામાં અહીં ખર્ચ વ્યવસ્થાપનમાં ક્યાંક ચૂક થઈ રહી છે, જેની સીધી અસર સીમાંત ખેડૂતોના ખિસ્સા પર પડી રહી છે. હાલમાં ખેડૂતોમાં ફેલાયેલી આ નિરાશા આગામી દિવસોમાં મોટા વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.





