ટેકનોલોજીના સહારે પ્રજ્ઞાચક્ષુ દીકરીનો આત્મવિશ્વાસ: દ્રષ્ટિની ખામી છતાં રાઈટર વગર લેપટોપ પર બોર્ડની પરીક્ષા આપી
આજના ડિજિટલ યુગમાં દ્રષ્ટિની ખામી હવે શિક્ષણમાં અવરોધ બની શકતી નથી, તેનું ઉત્તમ ઉદાહરણ અંધજન શિક્ષણ મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીએ પૂરું પાડ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થિની રુકસાર ઈકબાલ પીંજરી (બેઠક ક્રમાંક: G-393128) એ કોઈપણ રાઈટર (લખનાર)ની મદદ લીધા વિના, સ્વબળે લેપટોપ પર ટાઈપ કરીને બોર્ડની પરીક્ષા આપી હતી.
સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રાઈટરની મદદ લેતા હોય છે, પરંતુ રુકસારે જાતે જ લેપટોપ પર પેપર ટાઈપ કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અને દ્રઢ મનોબળને કારણે તે આજે અન્ય વિદ્યાર્થીઓની જેમ જ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહી છે. સમગ્ર ગુજરાતમાં આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીએ પરંપરાગત પદ્ધતિને બદલે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપી હોય. વિદ્યાર્થીનીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ મંજૂરી અપાઈ હતી.
બોર્ડના નિયામક શ્રીમતી તરૂલતાબેને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના હિતમાં સંપૂર્ણ સહકાર આપી જરૂરી સવલતોની મંજૂરી આપી હતી. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર, ઝોનલ અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ અને નિહારિકાબેનના સતત માર્ગદર્શન અને સહયોગથી આ પ્રક્રિયા સુગમ બની હતી. શાળા પરિવાર અને શિક્ષણ વિભાગે રુકસારની આ હિંમતને બિરદાવી તેને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.





