મહુવાના કોષ ગામે કેનાલમાં પગ લપસી જતાં યુવકનું કરુણ મોત: મહાશિવરાત્રીના દિવસે પરિવારમાં માતમ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોષ ગામના ‘ઉપલી કોષ ફળીયા’માં રહેતા ૩૮ વર્ષીય કેતનભાઈ રવજીભાઈ પટેલનું કેનાલના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે ૧૨:૧૫ કલાકે કેતનભાઈ ગામની ઉકાઈ ડાબા કાંઠા શાખાની કેનાલના મુખ્ય ગેટ પાસે હાથ-પગ ધોવા ગયા હતા, તે સમયે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ખાબક્યા હતા.
આ સમયે તેમના સંબંધી રાજેશભાઈ મંગુભાઈ પટેલ, જેઓ મહાશિવરાત્રી હોવાથી તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, તેમણે કેતનભાઈને ડૂબતા જોયા હતા. તેમણે તાત્કાલિક પાણીમાં કૂદીને કેતનભાઈને બહાર કાઢ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અનાવલ સરકારી દવાખાને ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક કેતનભાઈ ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પરિવારમાં પત્ની સહિત ૧૭ વર્ષનો દીકરો અને ૧૪ વર્ષની દીકરી છે. આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારે કમાઉ સભ્ય ગુમાવતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. મહુવા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





