IIIT સુરત દ્વારા ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના ૪ ફેકલ્ટી અને ૪૫ યુવા પ્રતિનિધિઓનું પીપલોદ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
૬ દિવસીય યુવા સંગમ કાર્યક્રમ હેઠળ યુવાનોને રાજ્યના પાંચ સ્તંભો પર્યટન, પરંપરા, પ્રગતિ, પ્રૌદ્યોગિકી અને પરસ્પર સંપર્ક થકી નવીન અનુભવની ઝાંખી કરાવાશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ IIIT- સુરત અને IIM- બિહારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના ૪ ફેકલ્ટી અને ૪૫ યુવા પ્રતિનિધિઓ મળી ૪૯ અતિથિઓનું પીપલોદ સ્થિત SVNITના ગેસ્ટ હાઉસ ખાતે IIIT-સુરત દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિચાર હેઠળ આયોજિત ‘યુવા સંગમ’નો મુખ્ય ઉદ્દેશ વિભિન્ન સંસ્કૃતિ અને પરંપરાના આદાન-પ્રદાન દ્વારા લોક જોડાણને મજબૂત કરી દેશભરના યુવાનોમાં જાગૃતિ ઊભી કરવાનો છે.
યુવા સંગમ-ત્રીજા તબક્કાની ઉજવણી અંતર્ગત તા.૨૪થી ૨૯ ડિસેમ્બરના ૬ દિવસીય કાર્યક્રમમાં યુવાનોને પર્યટન, પરંપરા, પ્રગતિ, પ્રૌદ્યોગિકી અને પરસ્પર સંપર્ક થકી એક નવીન અનુભવની ઝાંખી કરાવવા આવશે. ગુજરાત રાજ્ય પ્રવાસના ભાગરૂપે અતિથિ ટીમ સુરતનો કિલ્લો, ICCC સેન્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU), રાજ ભવનમાં ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી સાથે વાર્તાલાપ, દાંડી- નવસારી, સુમુલ ડેરી, નીલકંઠ ધામ-પોઈચા, SGCCI, SRK ડાયમંડ ફેક્ટરી, STPL ઈન્ડસ્ટ્રી, લક્ષ્મીપતિ ઈન્ડસ્ટ્રી જેવા સ્થળોની મુલાકાત લેશે. તેમજ સરદાર સ્મૃતિ ભવન-મિની બજાર, વરાછા ખાતે ગુજરાતના યુવાનો દ્વારા સાંસ્કૃતિક ઉત્સવના આયોજન સાથે કાર્યક્રમનું સમાપન થશે.
આ પ્રસંગે EBSBના કન્સલ્ટન્ટ સુરેન્દ્ર નાયક, IIIT- સુરતના ડિરેક્ટર પ્રો.જે એસ.ભાટ, નોડલ ઓફિસર શ્રદ્ધા પટેલ,ડૉ વિજય રાદડીયા, બિહારથી ફેકલ્ટી કો ઓર્ડીનેટર સર્વે દિવ્યા શર્મા, ડૉ રચના વિશ્વકર્મા, ડૉ વિશાલ વાનખેડે તેમજ પ્રો.રવિશ સહિત IIIT સુરતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




