વાંસકુઈ ગામની નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ દ્વારા ઓળખ હાથ ધરાઈ
અંબિકા,સુરત:-અંબિકા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરના ઊંડા પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાંસકુઈ ગામના નહેર ફળિયાની સીમમાં મહાદેવના મંદિર પાસેથી પસાર થતી નહેરમાં એક આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો શવ તરતો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ અનાવલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ અજાણ્યો પુરુષ નહેરના ઊંડા પાણીના વહેણમાં તણાઈ આવ્યો હતો અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. મૃતક વ્યક્તિના નામ, સરનામા કે પરિવાર અંગે હજી સુધી કોઈ ભાળ મળી નથી.
આ અંગે અનાવલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ એ બનાવની નોંધ કરી છે, અને વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.સી. પારગી ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી મેળવી મૃતકની ઓળખ વિધિ હાથ ધરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો કોઈને આ વર્ણન વાળી વ્યક્તિ વિશે માહિતી હોય તો અનાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.



