શ્રાવણ શરૂ થાય તે પહેલા જ મોટો ચમત્કાર કે તારાજી? કાવેરી નદીના પૂર બાદ તડકેશ્વર મહાદેવનો રસ્તો જ અદ્રશ્ય થઈ ગયો!
શ્રાવણ માસ પૂર્વે જ તડકેશ્વર મહાદેવ મંદિરનો રસ્તો ધોવાયો: કાવેરી નદીના ઘોડાપૂર બાદ રસ્તો ગાયબ થતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં
અંબિકા; સરત: (અલ્પેશ.પટેલ)
સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. ખાસ કરીને કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે ભારે હોનારત સર્જાઈ છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં પવિત્ર ત્રિવેણી સંગમ કિનારે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતો મુખ્ય રસ્તો જ સંપૂર્ણપણે ધોવાઈને ગાયબ થઈ ગયો છે.
કાવેરો, કાવેરી અને ગુપ્ત સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ પર સ્થિત તડકેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. પવિત્ર શ્રાવણ માસ ખૂબ નજીક છે ત્યારે જ મંદિર સુધી પહોંચવાનો માર્ગ ધોવાઈ જતાં દર્શનાર્થે આવતા અનેક શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તો ન હોવાથી સ્થાનિકો અને દૂર-દૂરથી આવતા ભક્તોને જીવના જોખમે મંદિર સુધી પહોંચવાની નોબત આવી છે.
સ્થાનિકોની માંગ:
“શ્રાવણ માસ દરમિયાન અહીં હજારો ભક્તો દર્શન માટે આવે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી કોઈ અણબનાવ ન બને.”
હાલમાં પાણી થોડું ઓસરતાં જ તંત્ર સમક્ષ રસ્તાના ઝડપી રિપેરિંગ કામ માટે માંગ ઉઠી છે. જો સમયસર રસ્તો સરખો કરવામાં નહીં આવે તો આગામી શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે તેમ છે.





