કાછલ કૉલેજમાં ‘વિશ્વમાનવી’ ઉમાશંકર જોશીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી
કાછલ:
“વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની” ના ગાનથી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલ ખાતે મહાન સર્જક ઉમાશંકર જોશીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના ગુજરાતી વિભાગ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને કે.સી.જી-ઉદ્દીશા અંતર્ગત તા. 21/07/2026 ને મંગળવારના રોજ કૉલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ આયોજન હાથ ધરાયું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને S.Y.B.A. ગુજરાતીની વિદ્યાર્થિનીઓ અંજલી, હેત્વી અને ધ્યાની દ્વારા પ્રસ્તુત ‘વંદે દેવી શારદા’ પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ પધારેલા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાર્તાકાર શ્રીમતી નેહા ગાંધીએ ઉમાશંકર જોશીની વાર્તાઓ વિશે વિગતવાર વાત કરી હતી, જ્યારે ડૉ. અશ્વિન અવૈયા સાહેબે ઉમાશંકર જોશીના જીવન, તેમના સાહિત્યસર્જન અને વાર્તાઓનો સુંદર રસાસ્વાદ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી હર્ષદ ત્રિવેદીનું પ્રેરક ઉદ્બોધન સંચાર માધ્યમ દ્વારા સંભળાવવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્યશ્રી ડૉ. રાકેશ ચૌધરી સાહેબે પોતાના વક્તવ્યથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રવીણ સલિયા સાહેબ, ધનસુખ પટેલ અને પ્રા. આશાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.





