કરચેલીયાના ખુશ્બુ કોમ્પલેક્ષમાં મધરાતે આગ: ૧૧ બાઈક ખાખ, લાખોનું નુકસાન
શોર્ટ સર્કિટની આશંકા; ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવતાં જાનહાનિ ટળી

મહુવા તાલુકાના કરચેલીયા ગામે આવેલ ખુશ્બુ કોમ્પલેક્ષમાં મધરાત્રી દરમિયાન લાગેલી આગમાં ૧૧ જેટલી મોટર સાયકલો બળી ખાખ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં દુકાનોને પણ ભારે નુકસાન થયું છે, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
મળતી માહિતી મુજબ, કોમ્પલેક્ષમાં રહેતા અને “બાલાજી કરીયાણા” દુકાન ચલાવતા વેપારી ગઇકાલે રાત્રે દુકાન બંધ કરી પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયા હતા. દરમિયાન, રાત્રે આશરે ૨ વાગ્યાના સમયે નીચે બુમાબુમના અવાજો સાંભળતા તેઓ જાગી નીચે દોડ્યા હતા. ત્યાં જઈ જોયું તો દુકાન નં. ૯ પાસે આગ ભભૂકી રહી હતી.
આગ ઝડપથી ફેલાતાં કોમ્પલેક્ષની નીચે પાર્ક કરેલ વાહનો અને મીટર બોક્ષમાં પણ આગ લાગી હતી. આ આગમાં કુલ ૧૧ જેટલી મોટર સાયકલો સંપૂર્ણ બળી ગઈ હતી. તેમજ દુકાન નં. ૫ થી ૯ સુધીની દુકાનોના શટર અને સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં થોડા જ સમયમાં ફાયર ટીમ પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સમયસર કાર્યવાહી થતા કોઈ જાનહાનિ થઈ નથી.
આ બનાવમાં એક્ટિવા, સ્પ્લેન્ડર, ડ્યુક સહિત વિવિધ વાહનો બળી ગયા હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક અંદાજ મુજબ કુલ આશરે રૂપિયા 7 લાખ જેટલું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





