મહુવા-બારોડિયા રોડ પર ગમખ્વાર અકસ્માત
કાર વીજ થાંભલા સાથે અથડાતા યુવાનનું કમકમાટીભર્યું મોત
મહુવા:
સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનની હદમાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી અર્ટિગા કાર રસ્તાની બાજુમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાતા કારમાં સવાર એક ૩૦ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ, આ અકસ્માત મહુવાથી બારોડિયા જતાં રોડ પર વળાંક પાસે સર્જાયો હતો. આરોપી ડ્રાઈવર અંકિતભાઈ (ઉર્ફે ગુલો) મુકેશભાઈ ચૌધરી (રહે. ખોડતલાવ, તા. વ્યારા) પોતાની મારુતિ અર્ટિગા કાર (નંબર: GJ-26-AB-2820) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો.ત્યારે
કાર જ્યારે બારોડિયા ફળિયા પાસેના વળાંક પર પહોંચી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા અને તેની સાથે બાંધેલા વાંસના માચડા સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે માચડા સાથે બાંધેલી લોખંડની પાઇપ કારની અંદર ઘૂસી ગઈ હતી અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા બંકિમભાઈ ચીમનભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૩૦) ના માથાના ભાગે આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આ મામલે મૃતકના ભાઈ મિતેશભાઈ ચૌધરીએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ આધારે મહુવા પોલીસે આરોપી ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧, ૩૨૪(૪), ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





