આગામી તા.૧૩મીએ સુરત જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
આર્થિક દાવાના કેસોમાં તા.૬ નવેમ્બરના રોજથી પક્ષકારોને સમાધાન માટે હાજર રહેવા અનુરોધ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશાનુસાર રાજ્ય સહિત સુરત જિલ્લામાં આગામી તા.૧૩/૧૧/૨૦૨૫ના રોજ વર્ષ ૨૦૨૫ની આખરી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં ક્રિમીનલ કંમ્પાઉન્ડબેલ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ(કલમ ૧૩૮), બેંક નાણા વસુલાત, મોટર અકસ્માત, લેબર ડિસ્પ્યુટ, વોટર અને ઈલેકટ્રીસિટી બિલ(બિનસમાધાન પાત્ર સિવાયના), લગ્ન વિષયક તકરાર, લેન્ડ એક્વીઝીશન, સર્વિસ મેટર (પગાર, ભથ્થા અને નિવૃતિ લાભો સબંધિત), રેવન્યુ કેસો, અન્ય સિવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમના દાવા, સ્પે. પર્ફોમન્સના દાવા) વિગેરે પ્રકારના કેસો મૂકવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, પાછલી બે લોક-અદાલતમાં સુરતને ઐતિહાસિક સફળતા મળી હતી. ૭ હજાર જેટલી ચેક પરતની ફરિયાદોનું સમાધાન અગાઉની લોક અદાલતોમાં કરાયું છે.
લોક-અદાલતને સફળ બનાવવા સમગ્ર જિલ્લામાં લોક-અદાલત થકી મહત્તમ કેસોમાં ખાસ કરીને ચેક રિટર્નની ફરિયાદ તથા મોટર અકસ્માત વળતરના કેસોમાં ત્વરિત સમાધાન થાય તે માટે વિગતવાર એકશન પ્લાન અમલી બનાવાયો છે, તથા અનુભવી અને નિષ્પક્ષ મધ્યસ્થીની નિમણૂંક થકી પક્ષકારો વચ્ચે લોક-અદાલત અગાઉ સમાધાનની મિટીંગ થાય તે અંગે વ્યવસ્થતા ઉભી કરાઈ છે. લોક અદાલતમાં આર્થિક દાવાનાં કેસોમાં તા.૦૬/૧૧/૨૦૨૫ના રોજથી પક્ષકારોને સમાધાન માટે હાજર રહેવા અંગેની નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. લોક અદાલતનો મહત્તમ લાભ લેવા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ રાહુલ ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે.


