Traffic Tail

દક્ષિણ ગુજરાતની ચૌધરી ભાષાની કવિતાઓ પ્રો. ડૉ. માનસિંહ ચૌધરીએ બિહારના પટના ખાતે લલકારી

SHARE:

દક્ષિણ ગુજરાતની ચૌધરી ભાષાની કવિતાઓ પ્રો. ડૉ. માનસિંહ ચૌધરીએ બિહારના પટના ખાતે લલકારી

સંવાદદાતા :- કુલિન પટેલ 

વલસાડ, તા. ૨૮-૯-૨૦૨૫


સાહિત્ય અકાદમી, નવી દિલ્હી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બિહારના પટના ખાતે એશિયાનો સૌથી મોટો સાહિત્ય મહોત્સવ ‘ઉન્મેષ’ ૨૫ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો. જેમાં દેશ વિદેશના ૫૦૦ થી વધુ સાહિત્યકારો સહભાગી બન્યા હતા. જે સાહિત્ય સંમેલનમાં દક્ષિણ ગુજરાતમાં બોલાતી ‘ચૌધરી’ ભાષાનું પ્રતિનિધિત્વ પ્રો. ડૉ. માનસિંહ ચૌધરીએ કરતાં સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરીને ઉપસ્થિત સાહિત્ય રસિકોની વાહવાહી પ્રાપ્ત કરી હતી. ઉન્મેષ અંતર્ગત ‘મૌલિક સ્વર’ શીર્ષક હેઠળ યોજાયેલ બહુભાષી કવિઓની બેઠક જય પ્રકાશ કર્દમની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં એમ. વેંકટેશન (તમિલ), ભાવના (બજ્જિકા), માનસિંહ ભાઈ ચૌધરી (ચૌધરી), યશવંત વીરોડાય (હિન્દી), ઓન ટેરોન (કાર્બી), સ્નેહલતા નેગી (કિન્નાહમ), કિન્નાહમ (કિન્ના) (મીતેઇલોન) અને નરેશ છેત્રી (નેપાળી)એ તેમની કવિતાઓનું પઠન કર્યું હતું. દક્ષિણ ગુજરાતની ચૌધરી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે મુકી આપીને પ્રો. ડૉ. માનસિંહ ચૌધરીએ દક્ષિણ ગુજરાતમાં વસતા ચૌધરી સમુદાય માટે એક ગૌરવપૂર્ણ સ્થાન ઊભું કર્યું છે. માનસિંહ ચૌધરી આણંદ ખાતેની એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. તેઓ પીએચડી માર્ગદર્શક છે અને તેમના માર્ગદર્શન હેઠળ આઠ જેટલા સંશોધકોએ પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ડૉ. માનસિંહ ચૌધરી નાં ૧૧ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, જેમાં આદિવાસી ચૌધરી ભાષામાં બે કાવ્યસંગ્રહોનો સમાવેશ થાય છે. સંશોધન અને સંપાદન દ્વારા, તેઓ આદિવાસી સાહિત્ય અને સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રોત્સાહનમાં ફાળો આપે છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!