પલસાણા તાલુકાના ગાંગપુર અને ધામડોદ ગામે ૧૪૯ લોકોનું સ્થળાંતર કરાયું

સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં સવારે પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે હળપતિવાસ, ડેરી ફળીયા, ગીરનાર ફળીયામાં વરસાદી પાણી ભરાઈ જતા ૧૩૫ લોકોને સ્થળાંતરિત કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ધામડોદ ગામે વસાવા ફળીયાની બાજુમાં આવેલી કોતરોને લીધે પાણી ભરાઈ જતા ૧૪ લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પલસાણા તાલુકાની બલેશ્વર ખાડીમાં પાણી ભરતા છ ગામોના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.


