પી.એમ. જનઆરોગ્ય’ યોજના થકી ઓલપાડ તાલુકાના કીમ ગામના લવેસિંગભાઈ વસાવાની વિનામૂલ્યે બાયપાસ સર્જરી
પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂ.૨.૫૦ લાખના ખર્ચે થતી બાયપાસ સર્જરી આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક થઈ: લાભાર્થી લવેસિંગભાઈ વસાવા
મજૂરીકામ કરતાં ૫૨ વર્ષીય લવેસિંગભાઈની નિ:શુલ્ક બાયપાસ સર્જરી થતા આર્થિક રાહત મળી
ગુજરાત નિરામય- નિરોગી બને, શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ નાગરિકોને મળે એ માટે રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકારે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘પી.એમ. જનઆરોગ્ય’ યોજના થકી ઓલપાડ તાલુકાના કીમ ગામના ૫૨ વર્ષીય લવેસિંગભાઈ વસાવાની વિનામૂલ્યે બાયપાસ સર્જરી થઈ છે.
કીમ ગામના શિવાજીનગરમાં રહેતા ૫૨ વર્ષીય લવેસિંગભાઈ છોટુભાઈ વસાવાએ રાજ્ય સરકારનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. આર્થિક સ્થિતિ સામાન્ય છે. પરિવાર સાથે સુખેથી જીવન વિતાવી રહ્યો હતો, એવામાં મને થોડા સમયથી વારંવાર ચક્કર આવી રહ્યા હતા, છાતીમાં દુઃખાવો અનુભવાતો હતો. જેથી સુરતની પી.પી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા જ્યાં તબીબોએ નિદાન કરતા બાયપાસ સર્જરી કરવા જણાવ્યું હતુ. બાયપાસ સર્જરીનો મોટો ખર્ચ થશે તો આટલા રૂપિયા ક્યાંથી લાવીશ એની ચિંતા સતાવતી હતી, ત્યારે આવા મુશ્કેલ સમયમાં મારી વ્હારે ‘પી.એમ. જનઆરોગ્ય’ યોજનાનું આયુષ્માન કાર્ડ આવ્યું. હોસ્પિટલમાં આ યોજનાના કાઉન્ટર પર આરોગ્યમિત્રને મળ્યાં અને કાર્ડ બતાવ્યું તો તેમણે કહ્યું કે, તમારી બાયપાસ સર્જરીની સંપૂર્ણ સારવાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે થઈ જશે.
“આયુષ્યમાન કાર્ડ’ ના હોત તો હું કદાચ સારવાર જ ન કરાવી શકત એવી લાગણી વ્યક્ત કરતાં વધુમાં તેમણે કહ્યું કે, બાયપાસ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને છેલ્લે રજા આપવામાં આવી ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક મળી છે. મારી પાસે એક પણ રૂપિયાની માંગણી કરવામાં આવી ન હતી. બાયપાસ સર્જરીએ મારા પરિવારને મોટા આર્થિક બોજથી બચાવી લીધા અને આજે ખૂબ જ સ્વસ્થ છે એનો આનંદ વ્યક્ત કર્યો હતો.
સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. આયુષ્માન કાર્ડ થકી બાયપાસ સર્જરી વિનામૂલ્યે થઈ એ બદલ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું એમ તેમણે સહર્ષ જણાવ્યું હતુ.



