૨૭મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે.
૨૮મીએ સુરત ‘જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે:
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી.
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ ડિસેમ્બર મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૭મીએ અને તા.૨૮મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૭મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી મહુવામાં તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક કામરેજ તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૭મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત અધિકારીશ્રી, ઓલપાડ તાલુકામાં નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંતશ્રી, બારડોલી તાલુકામાં નાયબ કલેકટરશ્રી બારડોલી પ્રાંત, કામરેજ તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત, માંડવી તાલુકામાં નાયબ કલેક્ટર માંડવી પ્રાંત અધિકારીશ્રી, ચોર્યાસી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), પલસાણા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), મહુવા તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, માંગરોળ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ),ઉમરપાડા તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિભાગ-૨ સુરતના અધિકારીઓ હાજર રહેશે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની અરજી મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરતના નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.



