વલવાડામાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા ધરતીપુત્રોમાં સારા ચોમાસાની આશા
અનાવલ: અંબિકા તાલુકાના વલવાડા ગામે જમીન ધરાવતા વિજયભાઈ પટેલના ખેતરમાં ટીટોડીનાં ચાર ઈંડા જોવા મળતા ખેડૂતોમાં આનંદ સાથે સારા વરસાદની આશા જાગી છે. પાણીના અભાવે હાલ ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચોમાસા અંગેની પરંપરાગત માન્યતાઓ ફરી જીવંત બની છે.
ખેડૂતોના મતે, પૂર્વજોની પરંપરા મુજબ ટીટોડીના ઈંડા પરથી વરસાદ અંગે તારણ કાઢવામાં આવે છે. સામાન્ય રીતે ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારો વરસાદ પડે એવી માન્યતા છે. ઉનાળાની શરૂઆતમાં જ ચાર ઈંડા જોવા મળતા આ વર્ષે ચોમાસું અનુકૂળ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક ખેડૂતો હજુ પણ પરંપરાગત જ્ઞાન અને તારણોને મહત્વ આપતા જોવા મળે છે અને ખેતી માટે તેને ઉપયોગી માનતા રહ્યા છે.




