તા.૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
સુરત જિલ્લામાં એન્યુમરેશન ફોર્મ મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી જાય તેવા મતદારો માટે તા.૧૫-૧૬ તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે
ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૪ નવે. થી ૪ ડિસે.- ૨૦૨૫ દરમિયાન મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા ડોર ટુ ડોર જઇ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના તા.૧૫/૧૧/૨૫(શનિવાર) અને તા.૧૬/૧૧/૨૫(રવિવાર) તથા તા.૨૨/૧૧/૨૫(શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫(રવિવાર)ના રોજ ખાસ કેમ્પ યોજાશે. જેમાં સુરત જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે ૦૯.૦૦ કલાકથી બપોરે ૦૧.૦૦ કલાક સુધી હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બુથ પર હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવ્યું છે.


