પ્રગતિની નવી દિશા, ગ્રામીણ અર્થતંત્રને મળ્યું નવું જોમ
ધી રાજગરી સહકારી મંડળીના સંચાલકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પોસ્ટકાર્ડ લખીને અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો
GST સુધારાઓએ વેપારને બનાવ્યો પારદર્શી, ગ્રાહકોની ખરીદ શક્તિમાં થયો વધારો
‘ઘર ઘર સ્વદેશી’ સંદેશાએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું, દૂધ મંડળીઓને મળી શક્તિ: મંડળીના પ્રમુખ રીનાબેન પટેલ
સહકાર મંત્રાલયની સ્થાપનાથી ખેડૂતો સશક્ત, ગ્રામ્ય કક્ષાએ મળી રહી છે તમામ સુવિધાઓ
સુરત:- સુરત જિલ્લામાં ચાલી રહેલી પોસ્ટકાર્ડ ઝુંબેશ અંતર્ગત ચોર્યાસી તાલુકાની સુમુલ ડેરી સંલગ્ન ધી રાજગરી સહકારી મહિલા દૂધ મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો છે.
મંડળીના પ્રમુખ રીનાબેન પટેલે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં લેવાયેલા પરિવર્તનકારી નિર્ણયો અને નીતિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ નીતિઓએ ગ્રામીણ વિકાસને એક નવી દિશા આપી છે, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ અને ગતિ પ્રાપ્ત થઈ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મોટી મજબૂતી મળી છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,આ નિર્ણયોને કારણે સહકારી મંડળીઓ વધુ સશક્ત બનીને આગળ આવી રહી છે. આ મંત્રાલય ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે. ખેડૂતો માટે માત્ર બિયારણ અને ખાતર જ નહીં, પણ CSC (કોમન સર્વિસ સેન્ટર) સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ જ તમામ જરૂરી સુવિધાઓ મળી રહે છે, જેના પરિણામે ખેડૂતોને સમય અને પૈસા બંનેની બચત થાય છે.
વડાપ્રધાનશ્રીની નીતિઓ અંતર્ગત GSTમાં કરાયેલા સુધારાઓએ વેપાર અને ઉદ્યોગોને વધુ સરળ અને પારદર્શી બનાવ્યા છે. વધુમાં કહ્યું હતું કે, GST ઘટવાથી વસ્તુઓની કિંમત ઓછી થઈ છે, જેનાથી ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આના પરિણામે દુકાનદારોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાનના નવા GST સુધારાથી ખેતીના કામમાં પણ ઘણી સરળતા થઈ છે. આ સુધારાઓ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ઘર ઘર સ્વદેશી’ના સંદેશાએ ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. રીનાબેને વધુમાં ઉમેર્યું હતું કે, આ બદલાવ લાવીને કાંઠા વિસ્તારમાં રહેતી બહેનો સશક્ત થઈ રહી છે. ગ્રામીણ અર્થતંત્રને નવી શક્તિ પ્રદાન કરતી આ તમામ પરિવર્તનકારી નીતિઓ માટે તેમણે વડાપ્રધાનશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



