વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થશે
‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ની થીમ પર યોગદિનની ઉજવણીનું આયોજન: સુરત જિલ્લામાં ૩,૨૦૦થી વધુ સ્થળોએ અંદાજે ૪.૫૦ લાખથી વધુ નાગરિકો યોગમય બનશે
યોગ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન ‘યોગ વિદ્યા’ને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરત સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવશે. જે સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્યપ્રેમી બને એવા હેતુ સાથે આ વર્ષે પણ સુરત શહેર-જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમની સાથોસાથ ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ની થીમ પર યોગ દિન ઉજવાશે, જેના ભાગરૂપે સુરત મનપા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. આ ઉપરાંત તાલુકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, જેલ, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્રો, સરકારી અને ખાનગી સંસ્થાઓ, વોર્ડકક્ષાએ બાગ બગીચાઓ, વોક-વેમાં યોગદિનના કાર્યક્રમો યોજાશે, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને યોગાભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો.
ખાસ કરીને જિલ્લાના આઈકોનિક સ્થળોએ યોગની ઉજવણી થાય અને એ સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરાયું છે. જિલ્લાના ૯ તાલુકા, ૪ નગરપાલિકા, શહેરના ૯ ઝોનમાં પણ યોગ કાર્યક્રમો યોજાશે. રાજ્ય કક્ષાની યોગ દિન ઉજવણી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં થશે, જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતામુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા સંદેશ આપશે એમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
જિલ્લાના પદાધિકારીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, સ્પોર્ટ્સ એસોસિએશનો તેમજ સરકારી અધિકારી-કર્મચારીશ્રીઓ પણ ઉજવણીમાં સામેલ થશે. જિલ્લામાં અંદાજે ૩૨૦૦થી વધુ સ્થળોએ યોજાનાર યોગ કાર્યક્રમોમાં અંદાજે ૪.૫૦ લાખથી વધુ નાગરિકો જોડાશે અને યોગમય બનશે. યોગ પ્રશિક્ષકો વિવિધ આસનોનું નિદર્શન અને ધ્યાનની અનૂભૂતિ કરાવશે.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર વિજય રબારી, ડે.મ્યુ.કમિશનર મીનાબેન ગજ્જર, નાયબ પો.કમિશનર વિજયસિંહ ગુર્જર, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા, સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






