મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતો 40 વર્ષીય યુવાન આકસ્મિક રીતે નહેરના ઉંડા પાણીમાં પડી ડૂબી જતા ચકચાર મચી જવા પામી.
મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતો 40 વર્ષીય યુવાન આકસ્મિક રીતે નહેરના ઉંડા પાણીમાં પડી ડૂબી જતા ચકચાર મચી જવા પામી હતી.યુવાનની શોધખોળ હાથ ધરવા સ્થાનિક તરવૈયા તેમજ બારડોલી ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી પરંતુ નહેરમાં ડૂબનાર યુવાનની કોઈ ભાળ મળી ન હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે ગાંધીનગર ફળિયામાં રહેતા 40 વર્ષીય વિજયભાઈ મનુભાઈ નાયકા તા-5/05/2025ના રોજ પોતાના ગામની સીમમાં આવેલ કાકરાપાર ડાબાકાંઠાની નહેરમાં નાહવા ગયેલ અને નાહવા માટે બેસવાના હતા તે જગ્યાએ કિનારા પાસે નહેરનું બાંધકામ કરેલ હોય જેના ઉપર ઘણી લીલ લાગી ગયેલ હોય જેને પગ વડે સાફ કરતા હતા તે દરમિયાન પગ આકસ્મિક રીતે લપસી જતા નહેરના ઉંડા પાણીમાં તણાઈ ગયા હતા.સ્થાનિકોને આ અંગે માહિતી મળતા જ નહેરમાં ડૂબનાર યુવાનની શોધખોળ સ્થાનિક તરવૈયાની મદદ થી કરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા બારડોલી ફાયર વિભાગની મદદ લઈ યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવાનની કોઈ ભાળ મળી ન હતી.બીજા દિવસે પણ નહેરના પાણીમાં યુવાનની શોધખોળ ચાલુ હોવાનુ જાણવા મળ્યું છે.



