કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સહકારી પ્રવૃત્તિથી ધમધમતા જહાંગીરપુરા જીનની મુલાકાત લીધી
તળાદ કોટન અને પાલ કોટન મંડળીના સહકારી આગેવાનો સાથે સહકારી પ્રવૃત્તિ અંગે માહિતગાર થયા

સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સહકારી પ્રવૃત્તિથી ધમધમતા જહાંગીરપુરા જીનની મુલાકાત લીધી હતી અને સહકારી યુવા આગેવાન તથા તળાદ કોટન મંડળીના ડિરેક્ટર વિશાલ પટેલ(તળાદ) સહિતના સહકારી આગેવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ગુજરાતને સહકારી પ્રવૃત્તિ સમગ્ર દેશનું રોલ મોડલ છે. ભૂતકાળમાં પોતે કૃષિ વિભાગની કરેલી કામગીરીના કારણે ખેડૂતોની સમસ્યાઓથી માહિતગાર છે. દેશના ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ‘સહકાર સે સમૃદ્ધિ’ની ભાવના સાથે FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગ.) અમલમાં લાવ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ સહકારી પ્રવૃત્તિનો વ્યાપ સમગ્ર દેશમાં વધે તે માટે અલાયદું સહકાર મંત્રાલય કાર્યરત કરી તેનું નેતૃત્વ શ્રી અમિત શાહને સોંપ્યું છે એમ જણાવી તેમણે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા પુરૂષોત્તમભાઈ પટેલની દીર્ઘષ્ટિને બિરદાવી હતી.
આ પ્રસંગે તળાદ કોટન મંડળીના પ્રમુખ અરવિંદભાઈ પટેલે દક્ષિણ ગુજરાતની પ્રથમ હરોળની તળાદ કોટન, પાલ કોટન મંડળી, પુરૂષોત્તમ ફાર્મસ જેવી સહકારી સંસ્થાઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સોંસક ગામનાં
સહકારીતાના પ્રણેતા સ્વ. પુરૂષોત્તમભાઈ પટેલની સહકારી પ્રવૃત્તિઓ, કપાસ પૂલિંગની પદ્ધતિઓ, પાકની પેટર્ન બદલાતા હાલ ડાંગર પૂલિંગની કામગીરી અંગે વાકેફ કર્યા હતાં. પાલ કોટન મંડળીના પ્રમુખ નરેશ પટેલે કાંઠા વિસ્તારમાં ડભારી દરિયા કિનારાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
આ પ્રસંગે સહકારી અગ્રણીઓ કમલેશ સેલર, કરશન પટેલ, મનુ પટેલ, આસ્તિક પટેલ દલપત પટેલ, મુકેશ પટેલ(સરોલી), વિનુ પટેલ (તળાદ), પ્રિતેશ પટેલ (તળાદ), ધીરેન પટેલ (તળાદ), વિમલ પટેલ, સુરેશ પટેલ, રાજેશ પટેલ સહિત અન્ય સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



