રાજય સરકારે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે અમોને નવું સરનામું આપ્યું છે:
ખેડૂતો એ આજે નહી તો કાલે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશેઃ ખેડૂત દિલીપભાઈ પટેલ
ઓલપાડના ઠોઠબ ગામના ૭૨ વર્ષીય ખેડૂત દિલીપભાઈ પટેલે કહ્યું કે, અમે વર્ષોથી પરંપરાગત રાસાયણિક ખેતીમાં કપાસ, ડાંગર, ઘઉં સહિતનું વાવેતર કરતા હતા. મબલક ઉત્પાદન મળતું પણ ભાવ ન મળતા અને ખેત પેદાશોના વેચાણ માટે માર્કેટ પર આધાર રાખવો પડતો. રાસાયણિક ખેતીમાં યુરિયા સહિતના જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીના અભિગમથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. ઘરે ચાર ગાયો રાખી પશુપાલન કરી રહ્યો છું. સુરત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાને પહેલને બિરદાવતા તેઓ કહે છે કે, વેસુ જેવા પોશ વિસ્તારમાં અમારી ખેતપેદાશોને બજાર મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ બજારનું એક નવું સરનામું મળ્યું છે. અહિંયા દર બુધવારે અને રવિવારે અમે અમારા ખેતરમાં ઉત્પાદિત ખેત પેદાશોનું સીધુ ગ્રાહકોને વેચાણ કરીશું. આજે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોમાં ઓર્ગનિક શાકભાજી માટેની જાગૃતિ આવી રહી છે. તેઓ કહે છે કે, આગામી સમયમાં ખેડૂતો એ આજે નઈ તો કાલે પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે.




