કીમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૯ વર્ષીય હાર્દિકભાઇ રાઠોડે સતત છ મહિના સારવાર લઇ ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો
નિક્ષય પોષણ યોજના અંતર્ગત સાજા થયા ત્યાં સુધી દર મહિને રૂ.૫૦૦ની સહાય મળીઃ હાર્દિકભાઇ રાઠોડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી વર્ષ-૨૦૨૫ સુધી ટીબી જેવા રોગની નાબુદી માટે નિર્ધાર કર્યો છે.જે અંતર્ગત ‘ટીબી હારેગા,દેશ જીતેગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે અનેકવિધ યોજના અમલી બનાવી છે, જેના થકી ક્ષય જેવા ગંભીર રોગથી પિડાતા દર્દીઓને ઉતમ પ્રકારની સારવાર મળે અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમગામના હળપતિવાસમાં રહેતા ૨૯ વર્ષીય હાર્દિકભાઇ રાઠોડે કીમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત છ મહિના સારવાર લઇ ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો છે.
ટી.બીની સારવાર દરમિયાનના પોતાના અનુભવ વર્ણવતા હાર્દિકભાઇ રાઠોડ જણાવે છે કે, મારો મધ્યમર્વીય પરિવાર છે, મજુરી કરીને ઘરનું ગુંજરાન ચલાવું છું. ધણા સમયથી મને ખાંસીની સમસ્યા હતી,જેના કારણે છાતીમાં દુખાવો ધીરે ધીરે વધતાં અસહ્ય પીડા થવા લાગી હતી. ત્યારબાદ સારવાર માટે નજીકના કીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયો ત્યાં નિદાન કરતાં ટી.બી હોવાનું બહાર આવ્યું.જેથી હું ગભરાઇ ગયો હતો એ સમયે મને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને આરોગ્ય કર્મી દ્વારા શાંતિ પુર્વક સમજાવી ટીબીને જડમૂળથી નાબૂદ કરવા છ મહિનાની ટી.બીની સારવાર કરવાની સલાહ આપી હતી. જેથી સતત છ મહિનાની સારવાર લઇ ટી.બી મુક્ત થયો છું.સારવાર દરમિયાન આરોગ્ય કર્મીઓ દ્વારા સંપુર્ણ ધ્યાન રાખી નિયમિત દવા આપી મને ગંભીર બિમારીમાંથી બહાર કાઢ્યો છે.પરિવારના સભ્ય જેવી મારી સાળ-સંભાળ આરોગ્ય કેન્દ્રના કર્મીઓ લીધી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દવા અને પૌષ્ટિક આહાર થકી ટીબી રોગ સામે લડવાની શક્તિ વધે તેવા ઉદેશ્યથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ.૫૦૦ની આર્થિક સહાય મળી છે.જેનાથી ટી.બી સારવાર દરમિયાન સુવ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર લઇ શક્યો છું.અમારા જેવા મધ્યમવર્ગી પરિવારના આરોગ્યની ચિંતા કરતી સરકારનો હર હંમેશ આભારી રહીશ.



