સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

SHARE:

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર
 
અંબિકા નદી અને ઓલણ ખાડીના જળસ્તરમાં વધારો થતાં વહીવટી તંત્ર એલર્ટ
 
સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા રહેવા, જમવા અને આશ્રયની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ 

 

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને અંબિકા નદી, ઓલણ નદી (ખાડી) અને કોરવ ખાડીના જળસ્તરમાં વધારો થવાના કારણે તેમજ તરકાણી ગામનું તળાવ ઓવરફ્લો થવાથી આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. અંબિકા તાલુકાના મોજે ઉમરા, કાંકરીયા, ભોરિયા, વાંક, હળદવા, મહુવરીયા અને તરકાણી સહિતના કુલ ૭ ગામોમાંથી કુલ ૨૯૫ જેટલી વ્યક્તિઓનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા રહેવા, જમવા અને આશ્રયની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા ઉમરા મુખ્ય પ્રાથમિક શાળા અને તરકાણી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સરકારી આશ્રય સ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે પરસ્પર સહયોગથી ઘણા પરિવારોને તેમના સગા-સંબંધીઓના ઘરે તેમજ પડોશમાં આવેલા ઊંચાઈવાળા સુરક્ષિત મકાનો પર વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગામવાર વિગતો જોઈએ તો, ઉમરામાંથી ૬૦ વ્યક્તિઓ, કાંકરીયામાંથી ૫૪ વ્યક્તિઓ, ભોરિયામાંથી ૬૦ વ્યક્તિઓ, વાંકમાંથી ૯ વ્યક્તિઓ, હળદવા ગામમાંથી ૬૩ વ્યક્તિઓ, મહુવરીયામાંથી ૬ વ્યક્તિઓ અને તરકાણી ગામમાંથી ૪૩ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે.
તા.૨૩મી જુલાઈ-૨૦૨૬ના રોજ વહેલી સવારથી જ જિલ્લા વહીવટી તંત્ર અને અંબિકા તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને પ્રભાવિત ગામોમાં પહોંચીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળોએ સ્થાળંતર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!