પી. પી. સવાણી યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
રાષ્ટ્રધ્વજ માત્ર ઊંચાઈ અને ઉર્ધ્વગતિનું પ્રતીક જ નથી, પરંતુ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જગાડવાનું માધ્યમ:
આપણો તિરંગો દેશસેવા અને જવાબદાર નાગરિક બનાવતો પ્રેરણાસ્ત્રોત
:- નાયબ મુખ્યમંત્રી
૭૭મા પ્રજાસત્તાક દિનના પૂર્વ પ્રભાતે માંગરોળ તાલુકાના ધામડોદની PPSUમાં રાષ્ટ્રગીતની ધૂન સાથે જ્યારે રાષ્ટ્રધ્વજ આકાશને આંબ્યો
૭૭મા પ્રજાસત્તાક દિવસના પૂર્વ પ્રભાતે આજે દેશભક્તિના અનોખા ઉત્સાહ વચ્ચે માંગરોળ તાલુકાના ધામડોદ સ્થિત પી. પી. સવાણી યુનિવર્સિટી (PPSU) દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ‘દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ’ને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ગગનચુંબી ત્રિરંગાને ધ્વજવંદન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ દેશની આન, બાન અને શાન તિરંગાને સલામી આપી તેમણે મા ભારતીની વંદના કરી હતી.
રાષ્ટ્રગીતની ધૂન સાથે જ્યારે રાષ્ટ્રધ્વજ આકાશને આંબ્યો ત્યારે સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રધ્વજ માત્ર ઊંચાઈ અને ઉર્ધ્વગતિનું જ પ્રતીક નથી, પરંતુ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જગાડવાનું માધ્યમ બનશે. શિક્ષણની સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના સુદ્રઢ બને એ માટે PPSU એ ઊંચા રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રીય મૂલ્યોનું જતનનો માર્ગ ચીંધ્યો છે.
તેમણે કહ્યું કે, આપણા પ્રિય તિરંગાની જેમ, ઉન્નત મસ્તકે ગૌરવથી કહીએ કે આપણે સૌ મા ભારતીના સંતાન છીએ, સૌને ભારતીય હોવાનો ગર્વ અને ગૌરવ હોવા જોઈએ.
૭૭મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા તેમણે ઉમેર્યું કે, આ ઊંચો રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રના ગૌરવ અને પ્રગતિનું પ્રતીક છે. તે આપણને સતત દેશસેવા અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપતો રહેશે.
‘ઝિંદા શહીદ’ તરીકે ઓળખાતા શ્રી એમ. એસ. બિટ્ટાએ જુસ્સાદાર વક્તવ્યમાં રાષ્ટ્ર માટે બલિદાન અને અખંડિતતા જાળવવા પર ભાર મૂક્યો હતો અને ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રભક્તિનો સંચાર કર્યો હતો. આ ગગનચુંબી ત્રિરંગો હવે દક્ષિણ ગુજરાતમાં એક નવું સીમાચિહ્ન બની રહેશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી ગણપતભાઈ વસાવા, મુકેશભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, સુરતના મેયર શ્રી દક્ષેશ માવાણી, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી અને પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





