મહુવા તાલુકામાં સતત એક મહિનો અને બે દિવસ ચાલેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન
મહુવા તાલુકાની ૬૨ ગ્રામ પંચાયતોમાં ૨૫,૦૦૦થી વધુ લોકો સંકલ્પ યાત્રામાં સહભાગી બન્યા
૯૨૯૨ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવી
જિલ્લાના ૬૨ ગામોને ૧૦૦ ટકા ડિઝીટાઇઝેશન સુવિધાથી સજ્જ કરાયા
પદાધિકારીઓ અને અધિકારીઓના સમન્વય થકી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોચ્યો
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૪૪૨ નાગરિકોએ ગેસ કનેક્શન મેળવવા માટે રજિસ્ટ્રેશન તથા સુરક્ષા વિમા યોજનાનો ૪૯૯ ખેડૂતો તથા ૨૮૨ જેટલા ગ્રામજનોએ જીવન જયોતિ વીમા યોજનાનો લાભ મેળવ્યો
દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રથના માધ્યમથી છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી તેના લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડીને ગ્રામિણ વિસ્તારોને વિકાસની દિશામાં અગ્રેસર બનાવી વિકસિત ગામથી વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટેનું સંનિષ્ઠ કાર્ય કરવામાં આવી રહયું છે.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાઃ૧૫મી નવેમ્બરથી આરંભાયેલી યાત્રાનું તાઃ૧૬મી ડિસેમ્બરના રોજ બોરીચા ગામે ભવ્ય સમાપન થયું હતું. લગાતાર મહિના સુધી રોજ બે ગામોને આવરી લઈને રથ તાલુકાની ૬૨ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરીને ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી-માર્ગદર્શનની સાથે સબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને તેને સરકારની યોજનાના લાભો સ્થળ ઉપર જ અપાયા હતા. જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાના માર્ગદર્શન તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રકાશભાઈ માહલાના પ્રત્યક્ષ નેજા હેઠળ ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તથા વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓએ ખભે ખભા મિલાવીને આ મહા અભિયાનને સફળ બનાવ્યું હતું.
આ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ૯૨૯૨ વ્યક્તિઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી છે, તેની સાથે જ ૬૯૭૭ વ્યક્તિઓની ટી.બી. રોગ તથા ૨૨૪૦ સિકલસેલ એનિમીયા રોગની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આ સમય દરમિયાન ગામે ગામ લાભાર્થીઓના નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાનો રથ સબંધિત ગામ ખાતે પહોંચતા ગામે ગામ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળા યોજાતા કાર્યક્રમોના માધ્યમથી જે લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો મળ્યા છે, તેવા ૨૫૧ લાભાર્થીઓએ તેમને સરકારી સહાય દ્વારા થયેલ લાભ અંગે “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોને ખેતીમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ કેવી રીતે કરી શકાય તે અંગેનું ૬૨ ગામો ખાતે ડ્રોન નિદર્શન કરવામાં આવ્યું હતું. તમામ ગ્રામ પંચાયતો ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી તેમને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ૧૧ ગામોને સ્વચ્છતા બદલ અભિનંદન પત્રો પાઠવ્યા હતા. જયારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૪૪૨ નાગરિકોએ ગેસ કનેક્શન મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સુરક્ષા વિમા યોજનાનો ૪૯૯ ખેડૂતો તથા ૨૮૨ જેટલા ગ્રામજનોએ જીવન જયોત વીમા યોજનાનો લાભ મેળવ્યો હતો.
આમ, મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શુભારંભ બાદના એક મહિનો અને બે દિવસ દરમિયાન ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને ગ્રામ પંચાયત ખાતે ઘેર બેઠા જ આપવામાં આવ્યા હતા. ૨૪૭૨૫ ગ્રામજનોએ સંકલ્પ પત્રનુ વાંચન કરીને ભારત દેશને ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવા માટે સંકલ્પ લીધો હતો.
બોરીયા જુથ ગ્રામ પંચાયત ખાતે સમાપન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, પૂર્વ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, જિ.પંચાયત સુરત બાંધકામ સમિતી ચેરમેનશ્રી રાકેશભાઈ એ.પટેલ, શ્રીમતિ શીલાબેન એસ.પટેલ,પ્રમુખશ્રી તા.પં.મહુવા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીનેશભાઈ ભાવસાર તથા શ્રીમતિ રીટાબેન ડી.પટેલ, સંગઠનના મહામંત્રી જીગરભાઈ નાયક, શ્રી મહુવા તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક, તાલુ.પં.ના ઉપ પ્રમુખશ્રી ચેતનભાઈ મિસ્ત્રી, ,તાલુકા પંચાયત સભ્ય વૈશાલીબેન એ.પટેલ, તથા કૌશિકાબેન પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રકાશભાઈ સી.માહલા, મામલતદાર શ્રી ઉમેશભાઈ વી.પટેલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




