આત્મહત્યા નિવારણ માટે લોકજાગૃતિના ભાગરૂપે આગામી ૨૩ ડિસેમ્બરે મોટા વરાછા ખાતે સુરતના પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા લોકડાયરો યોજાશે
આગામી ૨૩ ડિસેમ્બરના રોજ પ્રાણદાતા ફાઉન્ડેશન-સુરત દ્વારા આત્મહત્યા નિવારણ લોકજાગૃતિ માટે મોટા વરાછા સ્થિત માતૃશ્રી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ સી.આર.પાટિલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય કુમાર કાનાણી, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પટેલ ઉપસ્થિત રાહેશે.
આ કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી, કષ્ટભંજન હનુમાનના ઉપાસક એવા આર્યન ભગત અને હાસ્ય કલાકાર મિલનભાઈ તળાવીયા ગીત સંગીત, હાસ્ય અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે. લોકડાયરાનો મુખ્ય ઉદ્દેશ એક આશ્રમના નિર્માણ થકી વિનામૂલ્યે નિરાધાર લોકોને આશ્રય આપી તેઓની માનસિક સ્થિતિમાં સુધારો લાવી તેમને નવજીવન આપવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાણદાતા સ્યુસાઇડ પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા લોકોને આત્મહત્યા રોકવા માટે જાગૃત કરવાનો છે. પ્રાણદાતા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી ૪૦૦થી વધુ લોકોને કાઉન્સેલીંગ દ્વારા આત્મહત્યા કરવાથી રોકવામાં આવ્યા છે. તેઓ દેશભરમાં ટેલિફોનિક કાઉન્સેલીંગ વડે લોકોને મદદ કરે છે. સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ, રોજગારી, તેમજ મેડિકલ સહાય અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.




