તા.૧૫મીએ શહેરની શાળા-કોલેજોના ૨૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રચાશે અનોખી ‘માનવ સાંકળ’
પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલ, કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે
શહેરની ૪૩ શાળા અને ૨૨ કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાઇ કલર બેન્ડ સાથે આપશે ‘ક્લીન સિટી’, ‘ગ્રીન સિટી’ અને ‘સેફ સિટી’નો સંદેશ
SMC પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન અને ત્યાંથી ચોસઠ જોગાણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના વિસ્તારમાં ૩૦ બ્લોકમાં રચાશે ‘માનવ સાંકળ’
કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષાની સાથે મોબાઈલ ટોયલેટ, મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
તા.૧૫મીએ સવારે ૭.૦૦ વાગ્યે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૨૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ એકત્ર થઈ અનોખી ‘માનવ સાંકળ'(હ્યુમન ચેઇન) રચી સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થયનો સામૂહિક સંદેશ આપશે. પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલ, કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. શહેરની ૪૩ શાળાઓમાંથી આશરે ૨૧ હજાર અને ૨૨ કોલેજો મળી ૩૦૦૦થી વધુ બાળકો સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો સંદેશો આપશે.
સવારે ૭થી ૯ વાગ્યા દરમિયાન અથવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગાણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના વિસ્તારમાં કુલ ૩૦ બ્લોકમાં માનવ સાંકળ રચાશે.
આગામી તા.૧૭ ડિસેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સુરત શહેરની મુલાકાતને અનુલક્ષીને તેમના સ્વાગત માટે સ્વચ્છતાનો સંદેશ આપવાનો આ પ્રયાસ છે. જેમાં ભાગ લેનારા બાળકો શાળાના ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે વિવિધ પ્લે કાર્ડ સાથે ક્લીન, ગ્રીન અને ફિટ સિટીનો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં બાળકોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવા યોગ્ય સાઈનેજીસ સાથે મોબાઈલ ટોયલેટ, મેડિકલ અને પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે.




