મહુવાના અનાવલ ખાતે ૬ જિલ્લાઓના ટેકનિકલ માસ્ટર ટ્રેનરો અને ફાર્મર માસ્ટર ટ્રેનરો માટે રવિ ઋતુની પ્રાકૃતિક કૃષિ માટે બે દિવસીય તાલીમનો પ્રારંભ
૨૫૦ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૨૫૦ ટેકનિકલ માસ્ટર ટ્રેનરો ભાગ લઈ રહ્યા છે.
મહુવા તાલુકાના વલ્લભ આશ્રમ-અનાવલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાના પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ સાથે જોડાયેલા ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનરો માટે તા. ૭ અને ૮ નવે. એમ બે દિવસીય ‘રવિ ઋતુની પ્રાકૃતિક કૃષિ તાલીમ’નો પ્રારંભ થયો હતો.
તાલીમમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનરો અને ફાર્મર માસ્ટર ટ્રેનરો માટે રવિ ઋતુ દરમિયાન કૃષિ પદ્ધતિ અને ઉત્પાદન અંતર્ગત ૨૫૦ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૨૫૦ ટેકનિકલ માસ્ટર ટ્રેનરો ભાગ લઈ રહ્યા છે, જેઓને ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત, ખેતીમાં મદદરૂપ કુદરતી વ્યવસ્થાઓ, ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ, કૃષિના મુખ્ય આયામો, રવિ પાકોમાં પોષણ વ્યવસ્થાપન, જળ વ્યવસ્થાપન, પાક સંરક્ષણ, શેરડીના પાકમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિમાં મદદરૂપ ડિજિટલ ટેકનોલોજી, બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક કૃષિમાં વેચાણ વ્યવસ્થા, એપીઓ દ્વારા વેચાણ વ્યવસ્થા, પ્રાકૃતિક કૃષિમાં પંચવ્યવસ્થા, સહજીવન અને મિશ્ર પાક પદ્ધતિ પર તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે.
તાલીમના પ્રારંભ કાર્યક્રમમાં આત્મા નિયામકશ્રી અને સ્ટેટ નોડલ ઓફિસર પી.એસ. રબારી, સંયુક્ત ખેતી નિયામક કે.વી.પટેલ, સંયુક્ત ખેતી નિયામક (વડોદરા), એમ.એમ.પટેલ, નાયબ નિયામક (આત્મા પ્રોજેક્ટ) રિકેશ ભટ્ટ, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા સુરત) એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, અન્ય જિલ્લાઓમાંથી આવેલ કૃષિ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.






