Traffic Tail

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય.

SHARE:

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી અવસરે શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાથી શહેરોની માળખાકીય સુવિધા સુખાકારીમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે.

યોજનાને વ્યાપક ફલક પર મળેલી સફળતા અને લોક-સમર્થનની ફળશ્રુતિએ વધુ ત્રણ વર્ષ 2024-25થી 2026-27 સુધી યોજના લંબાવવાનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો સ્તુત્ય અભિગમ.

નગરો મહાનગરોમાં ભૌતિક સામાજિક આંતર માળખાકીય વિકાસ અને આગવી ઓળખના વિવિધ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૂપિયા ૫૭ હજાર કરોડનું પ્રાવધાન

અત્યાર સુધીમાં રૂપિયા ૪૮ હજાર કરોડના ૨.૮૪ લાખ કામોને મંજૂરી અપાઈ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ માટેનું વધુ એક મહત્વપૂર્ણ કદમ ભરીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વધતા જતા શહેરીકરણને પગલે શહેરીજનોની માળખાકીય સુવિધાઓ-જરૂરિયાત પૂર્ણ કરવાના હેતુથી ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના સ્વર્ણિમ જયંતિ અવસરે 2009-10માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી છે.

આ યોજનામાં ભૌતિક આંતર માળખાકીય સુવિધા અન્વયે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, જળસંચય અને લેક બ્યુટીફિકેશનનાં કામો, શહેરી સડકનાં કામો, પાણી પુરવઠા ગટર-વ્યવસ્થાનાં કામો તેમજ સ્ટ્રીટ લાઈટનાં કામો, વગેરે માટે નગરો મહાનગરોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

એટલું જ નહીં, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અન્વયે અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, આંગણવાડી, લાઇબ્રેરી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અર્બન મોબિલિટી અંતર્ગત આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શહેરી બસસેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, રેલવે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, રિંગ રોડ, ફ્લાય-ઓવર બ્રિજ અને અંડરપાસ જેવાં કામો હાથ ધરી શકાય છે.
આ ઉપરાંત શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવાં કામોમાં હેરિટેજ એન્ડ ટુરિઝમ, એક્ઝિબિશન હોલ, પંચશક્તિ થીમ આધારિત ટ્રાફિક આઈલેન્ડ્સ, રીવરફ્રન્ટ, વોટર બોડી, લેન્ડસ્કેપિંગ, સાયન્સ સેન્ટર, પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, વગેરેનાં કામોનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે.

રાજ્ય સરકારે નગરો મહાનગરોમાં આવા અંદાજે ૨ લાખ ૮૪ હજારથી વધુ કામો માટે રૂપિયા ૪૮ હજાર ૭૩૬ કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

આ ફ્લેગશીપ યોજના માટે અત્યાર સુધીમાં 57 હજાર કરોડનું બજેટ પ્રાવધાન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને મળી રહેલા વ્યાપક લોક સમર્થન તેમજ નગર સુખાકારીનાં વિવિધ કામોમાં યોજનાના લાભોની જરૂરિયાત સંદર્ભમાં આ ફ્લેગશીપ યોજના વધુ ત્રણ વર્ષ ચાલુ રાખવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જન હિતકારી નિર્ણયને પરિણામે હવે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25થી 2026-27 સુધીના વધુ ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!