આગામી તા.૧૪ માર્ચે સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
અન્ય શ્રેણીના કેસો, ચેક પરતની ફરિયાદો અને DGVCLના વીજ લેણાં માટેના કેસોનો નિકાલ કરાશે
કોસાડ આવાસ અને ઉન(ભેસ્તાન)માં યોજાયેલી લોકઅદાલતને મળેલી સફળતા બાદ આગામી તા.૧૪/૩/૨૦૨૬ એ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતો યોજાશે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અન્ય શ્રેણીના કેસો ઉપરાંત ચેક પરતની ફરિયાદો તેમજ ડી.જી.વી.સી.એલ.ના વીજ લેણાંના બાકી રકમ માટે સંપૂર્ણ વ્યાજ માફી બાદ બાકી રકમના સરળ હપ્તાઓનો વિકલ્પ ગ્રાહકને માત્ર લોક અદાલત પુરતો આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના મુખ્ય ન્યાયાધિશશ્રી રાહુલ એ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને ડી.એલ.એસ.એ. સુરતના અથાગ પ્રયાસથી કોસાડ અને ઉન વિસ્તાર ખાતે યોજાયેલી મોબાઈલ લોક અદાલતમાં બહોળી સંખ્યામાં વિવાદોનો ઉકેલ આવ્યો હતો. ઉન ખાતે મોબાઈલ લોક અદાલતમાં ૬૪ કેસો પૈકી ૨૯ પેન્ડીંગ સિવિલ દાવાઓનો નિકાલ આવ્યો હતો. જયારે ૬૭ પ્રિ-લીટીગેશન્સ કેસો મળી કુલ-૯૬ કેસોનો સ્થળ ઉપર જ નિકાલ થયો હતો. આમ કુલ રૂા.૨૪,૭૪,૬૪૯ની સ્થળ પર રિકવરી કરવામાં આવી હતી.




