મહુવા તાલુકાના ગામોમાં શિયાળાની શરૂઆત પહેલા જ તસ્કરો સક્રિય થઈ ગયા છે અને નાની મોટી ચોરીને અંજામ આપી સ્થાનિક પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.પોલીસ પણ આ ચોરીના વધતા બનાવો પર લગામ લાદવામાં હાલ નિષ્ફળ નીવડી રહી છે.જેને લઈ તાલુકાની જનતાની ઉંઘ હરામ થઈ ગઈ છે.ગત સપ્તાહે ધોળે દિવસે કરચેલીયા મંદિરમાંથી દાનપેટી ચોરાવાની ઘટના હજી તાલુકાની જનતા ભૂલી નથી ત્યાંતો ફરી કરચેલીયા ગામની નજીક આવેલ ડુંગરી ગામને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ.ગત રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરોએ ડુંગરી ગામે આવી ઘર,દુકાન અને મંદિરને નિશાન બનાવી ત્રણ સ્થળેથી ચોરી કરી ગયા હતા.ડુંગરી કણબી વાડ ફળિયામાં રહેતા ગીરીશભાઈ પટેલના ઘરે ઓટલા પર મુકલે તેમના દીકરાની 10 હજાર કિંમતની સાયકલ તસ્કરો ચોરી ગયા હતા.ઉપરાંત એજ ફળિયામાં આવેલ હરિવદનભાઈ ઉર્ફે પપ્પુભાઈ પટેલના ઘરની બાજુમાં આવેલ તેમની પ્રમુખ ડેરીનુ તાળુ તોડી અંદર ગલ્લામા મુકલે રોકડ રકમ ચોરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરો દ્વારા ગ્રામપંચાયત નજીક આવેલ ભવાની માતાજી મંદિરની આખી દાનપેટી જ ઉંચકી ગયા હતા.છેલ્લા છ માસથી દાનપેટી ખોલવાની બાકી હોવાથી મંદિર દાનપેટીમાંથી મોટી રકમ લઈ જવામાં તસ્કરો સફળ થયા હતા.એક જ રાત્રીમાં તસ્કરોએ ત્રણ સ્થળોએ મચાવેલ આતંકને લઈ ગ્રામજનો ભયભીત બની ગયા છે






