તા.૨૬ થી ૨૯ ડિસેમ્બર-૨૦૨૫ વસરાઈ ખાતે નેશનલ ટ્રેડ ફેર યોજાશે
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ દિશા ફાઉન્ડેશન ખાતે તા.૨૬ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય આદિવાસી ઉધોગ મેળો યોજાશે. જેને અનુલક્ષીને સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૬ ડિસેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ વાગે ટ્રેડ ફેરને ખૂલ્લો મૂકવામાં આવશે. જેના ભાગરૂપે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે તૈયારીઓ સંદર્ભે સ્થળ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમની સાથે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, આદિવાસી આગેવાનો તેમની સાથે જોડાયા હતા.
આ ટ્રેડ ફેરમાં ૧૨ રાજ્યોમાંથી ૧૦૦૦ થી વધુ ઉધોગ સાહસિકો અને ૧૦,૦૦૦ થી વધુ વેપારી અને વ્યવસાયિકો ભાગ લેશે, જે એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પણ આ મેળામાં વિશેષ પ્રાધાન્ય આપી, સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.




