સુરતમાં એક સાથે ૧૮ અંગોનું દાન: એક સાથે એક દિવસે એક શહેરમાં ચાર અંગદાન થયા હોય એવી ભારતની પ્રથમ ઘટના
સુરતમાં અંગદાન ક્ષેત્રે યોગાનુયોગ: અંગદાન જનજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો જન્મદિને એક સાથે ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના સફળ અંગદાન
નવી સિવિલ હોસ્પિટલ એક, નાના વરાછાની AAIHMS હોસ્પિટલમાં બે, કતારગામની કિરણ હોસ્પિટલમાં એક મળી ચાર બ્રેઈનડેડના સફળ અંગદાન
દિલીપદાદા દેશમુખના જન્મદિવસે નવી સિવિલમાં ૧૫૧ સફાઈકર્મી બહેનોને બ્લેન્કેટ અર્પણ કરાયા: મહત્તમ અંગદાનના સંદેશ સાથે જન્મદિવસની સેવાકીય ઉજવણી
સુરતમાં એક સાથે, એક દિવસે અને એક જ શહેરમાં ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન થયા હોય એવી ભારતની પ્રથમ ઘટના બની છે. આ ચાર બ્રેઈનડેડના ૧૮ અંગોનું દાન થતા અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવું જીવન મળશે.
વિશેષત: સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન જનજાગૃતિ અભિયાનને જનઆંદોલન બનાવનાર, જેમના અંગદાનના નિરંતર પ્રયાસોથી અંગોની જરૂરિયાત ધરાવતા અનેક દર્દીઓને નવું જીવન મળ્યું છે એવા અંગદાન જનજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના જન્મદિવસે એક સાથે ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના સફળ અંગદાન થયા છે.
નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ વર્ષીય બ્રેઈનડેડ કૈલાસ રામુ આહિરે (મૂળ: કુત્તરમારે, ધુલે, મહારાષ્ટ્ર)ના કિડની, લીવર અને કોર્નીયા, બીજા બે અંગદાન નાના વરાછાની AAIHMS હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ ૪૬ વર્ષીય ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ અને ૫૫ વર્ષીય મનુભાઈ જેરામભાઈ કાચા૪ કિડની એન્ડ ૨ લીવર ૪ આંખો જ્યારે ચોથું અંગદાન કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે થયું, જેમાં ૬૮ વર્ષીય છગનલાલના આંખો, કિડની અને લીવર એમ મળીને કુલ ૨૦ જેટલા અંગોનું દાન થયું.
સિવિલ હોસ્પિટલમાં અંગદાતા કૈલાસ રામુ આહિરે ખેતમજૂરી કરતા હતા અને મહારાષ્ટ્રના થાણેપડા ગામથી તેમની પત્ની અસાથે બાઈક પર કુત્તરમારે ગામ જઈ રહ્યા હતા ત્યારે ગાડી આગળ કુતરો આવી જવાથી અકસ્માત સર્જાતા કૈલાસભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ પણ ગંભીર હાલત હોવાથી પ્રાથમિક સારવાર કરી સુરતની નવી સિવિલમાં તા.૬ ડિસે.ના રોજ સાંજે ૫:૩૮ વાગ્યે દાખલ કરાયા હતા. ICU માં સારવાર બાદ તા.૦૭મીએ રાત્રે ૦૯:૩૮ વાગ્યે RMO ડૉ કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરો સર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા ડૉ.કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કૈલાસભાઈ પત્ની, પુત્ર અને પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં અંગદાન માટે સહમતિ આપી હતી. આમ, સિવિલમાં કૈલાસભાઈના કિડની, લીવર અને કોર્નીયાના દાન સાથે ૮૬મું સફળ અંગદાન થયું છે.
નર્સિંગ એસો.દ્વારા દિલીપદાદા દેશમુખના જન્મદિવસે નવી સિવિલમાં ૧૫૧ સફાઈકર્મી બહેનો તેમજ સુરક્ષા સ્ટાફને બ્લેન્કેટ અર્પણ કરાયા હતા. જેમાં સિવિલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ઋતંભરા મહેતા, ચેસ્ટ વિભાગના વડા અને નર્મદ યુનિ.ના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો.પારૂલ વડગામા, અંગદાન ક્ષેત્રે કાર્યરત પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, RMO ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સર્વશ્રી જિગીષા શ્રીમાળી, સ્ટેફી મેકવાન ટી.બી. નર્સિંગ એસો.ની ટીમના નિલેશ લાઠીયા, જગદીશ બુહા, સંજય પરમાર, બિપિન મેકવાન સહિતની ટીમે બ્લેન્કેટ વિતરણ અને આકાશમાં શાંતિદૂત બલુન ઉડાડીને લોકો, સામાજિક સંસ્થાઓને લોકોને જાગૃત્ત કરી મહત્તમ અંગદાન થાય એવો દિલીપદાદા વતી સંદેશ આપ્યો હતો.
શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, અંગદાન પ્રત્યે લોકો સ્વયંભૂ જાગૃત્ત બને, અંગદાન જનજાગૃતિ અભિયાન જનઆંદોલનમાં ફેરવાય એવા અમારા પ્રયાસો છે.
આમ, અંગદાનની પ્રવૃત્તિથી લોકોના જીવનમાં નવો ઉજાસ પૂરનાર દિલીપદાદા દેશમુખના જન્મદિવસે એક સાથે ચાર બ્રેઈનડેડ વ્યક્તિઓના સફળ અંગદાન થતા જન્મદિનની ઉજવણી સાર્થક થઈ છે.




