ઉમરપાડા આઈટીઆઈ ખાતે પોષણ માસ અંતર્ગત ‘પૂર્ણા અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો
૧૫ થી ૧૮ વર્ષની ૭૦ કિશોરીઓને સુરક્ષા અને સશક્તિકરણ, આંગણવાડીના લાભો, પોષણ, આરોગ્ય, શિક્ષણ વિષયો પર સમજ અપાઈ
સંકલિત બાળ વિકાસ વિભાગ અને આયુષ આયુર્વેદના સંયુક્ત ઉપક્રમે ઉમરપાડા આઈટીઆઈમાં શિક્ષણ, પોષણ, બાળલગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષા આપવાના હેતુથી કેન્દ્ર સરકારની થીમ ‘કિશોરી કુશળ બનો’ હેઠળ તાલુકા કક્ષાએ ‘પૂર્ણા અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો હતો. જેમાં ૧૫ થી ૧૮ વર્ષની ૭૦ કિશોરીઓને તેમની સુરક્ષા અને સશક્તિકરણ, આંગણવાડીમાં નિયમિત આવવાના લાભો, પોષણ, આરોગ્ય, શિક્ષણ વિષયો પર કાયદાકીય માહિતી વિશે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરાયા હતા. ઉપરાંત, શિક્ષણનું મહત્વ, એનિમિયાના નિવારણના પગલાં, સ્વ-બચાવની તાલીમ, માસિક સ્વચ્છતા, T.H.R.ના ફાયદા, અગત્યની યોજનાઓની વિસ્તૃત સમજ પૂરી પડાઈ હતી.
કિશોરીઓને “કડી થી કુસુમ”ની ફિલ્મ દર્શાવવામાં આવી હતી. તેમજ આયુર્વેદ અને મિલેટસના ફાયદા આઈ.સી.ડી.એસ. અને વાનગી નિદર્શન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, જેમાં આઈટીઆઈ પ્રિન્સિપાલ અનિલભાઈ, આયુર્વેદ અધિકારી ડો.પિયુષ પટેલ (ચિતલદા), આયુર્વેદ અધિકારી ડૉ.ભરાડીયા (ધાણાવડ), સીડિપીઓ દર્શનાબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા કિશોરીઓના અધિકારો, મુંઝવતા પ્રશ્નો, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સિક્કાની બે બાજુ કુપોષણની સાયકલ અને દૂર કરવાના ઉપાયો વિશે સવિશેષ સમજ આપી હતી.


