પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૨૭ : સુરત જિલ્લો’
પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત્ત થકી પાકનું જતન અને વાવેતર
બીજામૃત્ત બીજને જમીનમાં રહેલા ફૂગ તેમજ અન્ય જમીનજન્ય રોગ જીવાત સામે રક્ષણ આપે છે
બીજ સંસ્કાર માટે બીજામૃત્તનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત્ત સરળ રીતે ખેતર પર ઉપલ્બધ દ્રવ્યોમાથી બનાવવામાં આવે છે,જેનો ઉપયોગ વાવણી પહેલા બીજને માવજત એટલે કે પટ આપવા માટે થાય છે, તેનો ઉપયોગ રોપા,ધરૂ અથવા કોઇપણ રોપણી માટેની સામ્રગીની માવજત માટે કરવામાં આવે છે. બીજામૃત્તનો ઉપયોગ કરવાથી છોડના મૂળને જમીનજન્ય ફૂગ તથા બીજ જન્ય રોગો સામે રક્ષણ મળી રહે છે.
બીજામૃત્તમાં ઘણા ફાયદાકારક સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મતત્વો રહેલા છે, જે છોડને વૃધ્ધી અને વિકાસમાં જવાબદાર છે જેનાથી ઉત્પાદન અને ઊપજમાં વધારો કરે છે
બીજામૃત્ત બનાવવા માટેની સામ્રગી (અંદાજીત 100 કિલોગ્રામ બીજ માટે)
– દેશી ગાયનું તાજુ છાણ 05 કિલો
– દેશી ગાયનું ગૌ મુત્ર 05 લિટર
– ચૂનો 50 ગ્રામ
– વડ નીચેની માટી 01 મુઠ્ઠી
બીજામૃત્ત બનાવવાની પ્રધ્ધતિ
સુતરાઉ કાપડમાં 05 કિલો તાજુ છાણ લઇ પાણીમાં બોળવુ જેથી દ્રાવ્ય તત્વો પાણીમાં ઓગળી જશે,બીજા એક વાસણમાં 50 ગ્રામ ચૂનો 01 લિટર પાણીમાં 12 થી 16 કલાક પલાળી રાખવો, આ છાણના અદ્રાવ્ય તત્વોને સુતરાઉ કાપડને દબાવીને જુદા કરવા હોય છે.
છાણવાળા દ્રાવણમાં 05 લિટર ગૌ મુત્ર,01 લિટર ચૂનાનું પાણી,50 ગ્રામ સજીવ માટી અને 20 લિટર પાણી ઉમેરીને 12 થી 16 કલાક સુધી મિશ્રણ મુકી રાખવું, આ મિશ્રણને દિવસમાં બે વખત હલાવવાનું હોય છે, બીજ પર બીજામૃત્તની માવજત આપી બીજને છાયામાં સુકાવવા અને ત્યાર બાદ વાવણી કરવી,બીજામૃત્તના પટ આપવાથી બીજ વહેલા અને વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે, આનાથી મૂળ ઝડપથી વધે છે ને જમીન પરથી છોડ પર જે રોગોના દુષ્પ્રભાવ હોય છે તે છોડ પર થતો નથી.
છોડ સારી રીતે અને ઝડપથી વધે છે, ગાંઠો અને ધરૂને બીજામૃત્તમાં ડૂબાડી રાખવા અને પછી વાવણી કરવી,100 કિલો બીજ માટે 50 લિટર બીજામૃત્તની જરૂર પડે છે,
વાવણી પહેલા જુદા જુદા બિયારણને બીજામૃત્તનો પટ આપવાની રીત
ધાન્ય અને તેલબીયા પાકો માટે
ચોખા,બાજરા,મકાઇ,જુવાર,ઘઉં,તલ અડસી, સૂર્યમૂખી,કપાસ, કસુંબી વગેરે પૈકી જે વાવવું હોય તે બીજ પાથરીને બીજામૃત્તનો છંટકાવ કરવો ત્યાર બાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને તડકા પાસેના છાંયડામાં સુકવવું
મગફળી અને સોયાબીન માટે
આ બંન્ને પાકની બહારની ફોતરી ખૂબજ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃત્ત ને બદલે ઘન જીવામૃતનો ઉપયોગ 01-01 ના પ્રમાણમાં કરવો એટલે કે 10 કિલોગ્રામ બિયારણ હોય તો 01 કિલો ઘનજીવામૃત ભેળવવું.
કંદમૂળ માટે
બટાકા,હળદર,આદુ,કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સૂંડલામાં લઇ તેને બીજામૃત્તનો 30-40 સેકન્ડ માટે ડુબાડીને કાઢ્યા બાદ વાવણી કરવી.
કઠોળ વર્ગના પાક માટે
મગ,મઠ,અડદ,તુવેર,ચોળા,ચોળી,વાલ,વટાણી,રાજમાં કે મેથી જેવા પાકમાં બીજામૃત્તનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને તડકા પાસે છાયામાં સૂકવવું
શાકભાજી માટે
બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી,પાણીથી ધોઇને બીજામૃત્તમાં ડુબાડીને વાવણી કરવી જેથી કંપનીનો કેમીકલ પટ ધોલાઇ જાય, રોપના મૂળ બીજામૃત્તમાં અમુક 30 થી 40 સેકન્ડ માટે ડુબાડીને પછી વાવણી કરવી, રોપા માટે 20-36 રોપના મૂળ બીજામૃત્તમાં અમુક 30 સેકન્ડ માટે ડુબાડીને પછી વાવણી કરવી
બિયારણી સાચવણી
બિયારણની સાચવવું હોય તે ગાયના છાણની રાખ સાધારણ છાંટીને પ્લાસ્ટિક બેગમાં ભરીને સીલ કરવાથી બિયારણ બગડતું નથી,ઘરની અંદર વાપરવા માટે અનાજને સૂકવ્યા પછી મોટી પ્લાસ્ટીક બેગમાં પાંચ કિલો અનાજમાં 01 ચમચી રાખ પાતળા કપડામાં બાંધીને પોટલુ મુદી દેવું, મોટી બેગ હોય તો 01 કિલો અનાજ પ્રમાણે વધારે પોટલી મુકીને પ્લાસ્ટીક બેગમાં સીલ દ્રારા પેક કરી દેવુ ,અનાજ બગ઼ડશે નહિ,આ પ્રધ્ધતિ મુજબ બીજ લાંબા સમય સુધી રાખી શકાય છે અને બે વર્ષ સુઘી બગડતુ નથી
બીજામૃત્તની વૈજ્ઞાનિકતા
બીજામૃત્ત બીજને જમીનમાં રહેલા ફૂગ તેમજ અન્ય જમીન જન્ય રોગ જીવાત સામે રક્ષણ આપે છે.ગોબર અને ગૌમૂત્રમાં રહેલા એન્ઝાઇમ્સ બીજના ઝડપી સ્ફૂરણમાં મદદગાર થાય છે,તંતુ મૂળ ઝડપથી વધે છે અને સારી રીતે ફૂલે ફાલે છે,દરેખ ખેડૂતે હમેશાં પોતાના ખેતરમાં વાવેતર કરેલ પાકોનું બીજ સાચવીને જતન કરવું જોઇએ જેથી આગળના વર્ષે બીજનું વાવેતર કરી ખર્ચ બચાવી શકાય,આ બીજ જમીન,હવા,પાણી સહિત વાતાવરણ સાથે સાનુકુળ થઇ ગયેલ હોવાથી પાક સારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધી ઉત્પાદનમાં પણ વધારો થાય છે.






