સુવાલી બીચ ખાતે GPCB અને AM/NS કંપની દ્વારા આયોજિત ‘બીચ ક્લિનીંગ ડ્રાઇવ’માં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ જોડાયા
દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ કલાક સ્વચ્છતા સેવા માટે અર્પિત કરવા જોઈએઃ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુવાલી બીચ પરનો કચરો, પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરી નિકાલ કરાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ ખાતે GPCB(ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને AM/NS કંપની દ્વારા આયોજિત ‘બીચ ક્લિનીંગ ડ્રાઇવ’માં વન, પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ જોડાયા હતા. સુંવાલી દરિયાકિનારે AM/NS અને GPCBના અધિકારી-કર્મચારી, સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનોએ સાથે મળીને બીચ પરનો કચરો, પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરી નિકાલ કર્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં સહેલાણીઓ સુવાલ બીચની મુલાકાત લે છે, ત્યારે આવા રમણીય સ્થળે લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરવું અતિ આવશ્યક છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને કરોડો દેશવાસીઓએ લોકચળવળનું સ્વરૂપ આપી દીધું છે.
દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ કલાક સ્વચ્છતાની સેવા માટે અર્પિત કરવા જોઈએ એમ ભારપૂર્વક જણાવી તેમણે ઉમેર્યું કે, જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી બની છે. સરકારના પ્રયાસોમાં આમનાગરિકો પણ જોડાશે તો રાજ્ય અને સમગ્ર ભારતને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાશે.
આ પ્રસંગે GPCBના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝા, GPCB અને AM/NS ના અધિકારી-કર્મચારીઓ, સ્વયંસેવકો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



