કામરેજના વાવ ગામના ખેડૂત કાંતીભાઈ પટેલ ઈલાયચી કેળા અને જવની ખેતીથી વાર્ષિક સારી આવક મેળવે છે.
વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજાર શરૂ થવાથી અમોને વેચાણ માટેનું પ્લેટફોર્મ મળ્યુંઃ ખેડૂત કાંતીભાઈ પટેલ
સુરત શહેરના વેસુ ખાતે શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ બજારમાં સુરત જિલ્લામાંથી અનેક ખેડુતો પોતાની ખેતપેદાશોના વેચાણ માટે આવ્યા હતા. જેમાં કામરેજ તાલુકાના વાવ ગામના ૫૮ વર્ષીય ખેડૂત કાંતીભાઈ પટેલે કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂ છું. જેમાં ઈલાયચી કેળા, જમરૂખ, સફેદ જાંબૂ, ચીંકુ, શાકભાજી સહિત કઠોર અને જવની ખેતી કરૂ છું. પહેલા ખેત પેદાશ માટે વેચાણની સમસ્યાઓ રહેતી હતી જે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસથી વેસુ વિસ્તારમાં આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સ્થળ મળ્યું છે. જેથી અમોને નવું વેચાણનું કેન્દ્ર મળ્યું છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
તેમણે કહ્યું કે, ત્રણ વિઘામાં ઈલાયચી કેળા વાવેતર કર્યું છે. વાર્ષિક સાડા ત્રણથી સાડા લાખની આવક માત્ર કેળાના પાકમાંથી મળી રહે છે. આ સાથે પશુપાલનમાં નાની મોટી ૧૨ ગાયો રાખી છે. જેનું ગૌ-મૃત અને છાણનો ઉપયોગ મારી ખેતીમાં કરીએ છીએ. વર્ષો જૂની પરંપરા રાસાયણિક ખેતીમાં યુરિયાનો ઉપયોગ કરીને રાસાયણિક ખેતી કરતા હતા હવે આ પધ્ધતિને તિલાંજલી આપી સંપૂર્ણ ગૌ આધારિત ખેતી તરફ વળ્યા છીએ જેનું સારૂ પરિણામ મળ્યું છે.
વધુમાં ખેડૂત કાંતીભાઈએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનું સારૂ પરિણામ મળતાની સાથે જમીનમાં ભેજની ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. ખેતીમાં ગાયના ગોબર-ગૌમૂત્રથી નહીવત ઉત્પાદન ખર્ચ, રસાયણમુક્ત ખેત પેદાશ તૈયાર થાય છે.




