મહિલાઓના જીવનમાં સ્મિતનો ઉજાસ પાથરતી ઉજ્જ્વલા યોજના: બારડોલીના લક્ષ્મીબેન આહિરને ચૂલાની ગરમી અને ધુમાડાથી મળી મુક્તિ
ઉજ્જ્વલા યોજનાથી મારા જેવી અનેક મહિલાઓને ચૂલા પર રાંધવાને કારણે ઊભી થતી અગવડોથી છુટકારો મળ્યો છે: લાભાર્થી લક્ષ્મીબેન
‘અમારા જેવી ગામના છેવાડે રહેતી મહિલાઓને ચૂલા પર રાંધવાને કારણે પડતી અગવડોથી હવે છુટકારો મળ્યો છે’ એમ બારડોલીના રાયમ ગામે રહેતા લક્ષ્મીબેન આહિર ઉજ્જવલા યોજનાનો લાભ મળતા પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવે છે. તેઓ કહે છે કે, વર્ષોથી ચૂલા પર રાંધવાને કારણે ગરમી અને ધુમાડાની અમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થતી હતી. પરંતુ હવે ઉજ્જવલા યોજના થકી ગેસ કનેક્શન મળવાથી હું નિરાંત અનુભવું છું.
લક્ષ્મીબેને જણાવ્યુ કે, ચૂલો પ્રગટાવવા માટે મારે જંગલમાં જઈ બળતણ માટે લાકડા ભેગા કરવા પડતા હતા, તેમજ તેને ઘર સુધી લાવવા માટે કોઈ સાધનની સગવડ ન હોવાથી કેટલુંય વજન માથે લદીને ચાલવું પડતું હતું. હવે સરકાર દ્વારા મળેલા આ લાભને કારણે નિશ્ચિંત થઈ અનૂકૂળતાએ રસોઈકામ થઈ શકે છે એમ જણાવી લક્ષ્મીબેને અન્ય લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતી સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓના અમલીકરણ કર્યું છે. ગરીબી રેખાની નીચે જીવી રહેલાપરિવારોને વિનામૂલ્યે રાંધણગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવતી પી.એમ. ઉજ્જવલા યોજના હજારો પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. સરકારની આવી અનેક યોજનાઓના લાભો અંતરિયાળ વિસ્તારોમાં રહેતા દરેક જરૂરિયાતમંદ સુધી ૧૦૦ ટકા સેચ્યુરેશનના લક્ષ્ય સુધી પહોંચે એ માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે.



