સુરત જિલ્લાના ગ્રામ્ય વિસતારોમાંથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧૧૧૭ ગ્રામ્યજનોનું સુરક્ષિત રીતે સ્થળાંતરઃ
સમગ્ર સુરત જિલ્લામાં સવારથી મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. તમામ તાલુકાઓમાં ત્રણ ઈચથી લઈને ૧૦ ઈચ સુધીનો ભારે વરસાદ પડી ચુકયો છે. જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડીને રાહત વ્યવસ્થાની કરવામાં આવી હતી. સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧૧૧૭ લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અમુક ગામોમાં નાગરિકો પોતાના સગાસંબંધીઓના ઘરે તથા સરકારી પ્રાથમિક શાળાઓ અને શેલ્ટર હોમ્સ ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના કડોદ અને અસ્તાન સહિતના વિસ્તારોમાંથી ૪૦ લોકોને સ્થાનિક ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કામરેજના ચીખલી ગામમાં ૩૪ લોકોનું સ્થળાતર કરાયું હતું.
માંગરોળ તાલુકાના વસરાવી, લુવારા, હરણગામ, વાંકલ, ભીલવાડા, ખરેડા સહિતના બોરીયા, શાહ, અંબાવાડી સહિતના ગામોમાંથી ૩૨૧ લોકોને પ્રાથમિક શાળાઓ અને સગાસંબંધીઓના ઘરે સુરક્ષિત રીતે ખસેડાયા હતા. ઓલપાડના કીમ, કંટાસણ, મિર્ઝાપુર, વડદ, અંટોલી, ટકારા અને ઓલપાડ ગ્રુપ વિસ્તારમાંથી કુલ ૯૯ લોકોને પ્રાથમિક શાળાઓ અને કમ્યુનિટી હોલ ખાતે જયારે ચોર્યાસીના સેગવા અને અન્ય વિસ્તારોમાંથી ૪૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંબિકાન તાલકુાના મહુવરીયા, ઉમરા, ભોરીયા, તરકારી સહિતના ગામોમાંથી ૧૫૧ લોકો, અરેઠ તાલુકાના ટુંકેદ, પાતલ, બોરીગાળા, પરવાટ ગામોના ૭૬ તથા માંડવી તાલુકાના બોરી ગોડસંબા, ઈસર, લાડકુવા ગામોના ૨૭૬ લોકોને સ્થળાંતર કરાયું હતું.
સ્થળાંતરિત કરાયેલા તમામ નાગરિકો માટે સ્થાનિક પ્રાથમિક શાળાઓ, કમ્યુનિટી હોલ અને ગ્રામ પંચાયતોમાં ભોજન અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
પલસાણા અને ઉમરપાડા જેવા વિસ્તારો પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તાત્કાલિક સ્થળાંતર કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



