હવામાન વિભાગની સમુદ્રમાં કરંટ અને વાવાઝોડાની આગાહીના પગલે માછીમારો માટે જરૂરી એડવાઈઝરી બહાર પાડવામાં આવી
દરિયો ન ખેડવા અને બોટોને સુરક્ષિત લંગારવા માટે માછીમારોને મત્સ્યોદ્યોગ વિભાગની અપીલ
સુરત, તા. ૩૧, સુરત જિલ્લાના દરિયાકાંઠે સર્જાયેલા હવામાનના પલટા અને ભારત સરકારના હવામાન વિભાગ (IMD) દ્વારા તા. ૩૦/૦૭/૨૦૨૬ થી તા. ૦૨/૦૮/૨૦૨૬ સુધી આપવામાં આવેલી ચેતવણીને ધ્યાને રાખીને, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, સુરત દ્વારા જિલ્લાના તમામ માછીમારો, બોટ માલિકો અને બોટ એસોસિએશનો માટે અતિ મહત્વપૂર્ણ તાકીદની સૂચના જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સમયગાળા દરમિયાન ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને દરિયામાં અતિ તેજ પવન તથા ખરાબ હવામાન રહેવાની શક્યતા હોવાથી નાગરિકો અને માછીમારોના જીવના જોખમને ટાળવા માટે નીચે મુજબના નિર્દેશો આપવામાં આવ્યા છે: જિલ્લાના તમામ માછીમારોને માછીમારી માટે દરિયામાં બિલકુલ ન જવાની અને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી માછીમારી બંધ સિઝન (Fishing Ban Season) ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. પોતાની બોટો, હોડીઓ અને માછીમારીના અન્ય સાધનોને ભારે પવન કે ઉછળતા મોજાંથી નુકસાન ન થાય તે માટે સુરક્ષિત સ્થળે કે બંદર/જેટી પર મજબૂત રીતે લંગારીને (anchor) રાખવા. દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર કરવાનું કે જવાનું ટાળવું. વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓની તમામ સૂચનાઓનું પાલન કરવું તથા અન્ય સૂચના ન મળે ત્યાં સુધી સંપૂર્ણ સાવચેતી રાખવી.



