કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા લંબાવાઈ જાણો કઈ તારીખ સુધી કરાશે અરજી…
ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવાઈ
ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે વિચાર-વિમર્શ બાદ ઑનલાઇન અરજી કરવાની સમય મર્યાદા ૭ દિવસ વધારવાનો નિર્ણય કરાયો
હજુ પણ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકશાનગ્રસ્ત ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા કૃષિ મંત્રીશ્રીની જીતુભાઈ વાઘાણીની અપીલ
ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા. ૧૪ નવેમ્બરથી જ ૧૫ દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ (https://krp.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે, આગામી તા. ૫ ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા. ૧૪ નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.




