મહુવામાં કેટલીક પ્રાથમિક શાળામાં મહેકમ જાળવવાના કટોકટ આંકડા બાબતે ટીપીઓ એ તપાસ કરી ખરી ?
મહુવામાં ૬૦ ની લગોલગ સંખ્યાઓ ધરાવતી શાળાઓ ,પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આ શાળાઓની ચકાસણી કરવાના કર્યા હતા આદેશ
અનાવલ : મહુવા તાલુકામાં ખોટું મહેકમ બતાવી બદલી કરવાનો ખેલ થયો ત્યારે તાલુકાની અનેક શાળાઓમાં બાળકોની સંખ્યા અને શિક્ષકોની સંખ્યા બાબતે ચોંકાવનારા આંકડાઓ પણ જોવા મળી રહ્યા છે જે તપાસનો વિષય બન્યો છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકના પત્રમાં ખાસ જણાવ્યું છે કે સરકારી પ્રાથમિક શાળામાં જ્યાં નજીવી સંખ્યાના ફેરફારના કારણે શિક્ષકની વધ થવાની શક્યતા રહેલી છે. તેવી તમામ શાળાઓની નજીકની શાળા કે ખાનગી શાળામાં ૩૧- ૭ મહેકમ મંજૂર થવા પહેલા અને થવા બાદના પ્રવેશ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જેમાં ઉદાહરણ પણ ખાસ ટાંક્યું હતું કે ૬૦ વિદ્યાર્થી સુધી ૨ શિક્ષક મળવા પાત્ર હોય અને ૬૧ વિદ્યાર્થીથી ૩ શિક્ષકો મળવાપાત્ર હોય તે મુજબના કિસ્સામાં આ ખાસ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મહુવા તાલુકામાં અનેક શાળામાં ધોરણ ૧ થી ૫ માં ૬૧ થી લઈ ૬૩ સુધીની સંખ્યાઓ જોવા મળી રહી છે જેમાં કેટલીક શાળાઓ શંકા ઉપજાવે એવી છે.તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવી શાળાઓ બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અપાયેલ સૂચના મુજબ તપાસ અપાઈ છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા નિષ્પક્ષ ટીમ બનાવી આવી નજીવી ફેરફાર ધરાવતી શાળાઓ બાબતે મહુવામાં તપાસ કરાવે તો ચોંકાવનારા આંકડા મળે તો નવાઈ નહીં.






