વીર નર્મદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ‘શિક્ષણ અને સંશોધનમાં સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય’ પર વ્યાખ્યાન યોજાયું
સમાજશાસ્ત્ર અને સામાજિક આંતરક્રિયામાંથી સામાજિક સંબંધોનો ઉદ્દભવ, સામાજિક સંબંધોમાંથી સમૂહ/જૂથની રચના વિષે સમજ અપાઈ
વીર નર્મદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ‘શિક્ષણ અને સંશોધનમાં સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય’ પર પ્રો.ડૉ. જયપ્રકાશ એમ. ત્રિવેદી (નિવૃત્ત અધ્યાપક અને અધ્યક્ષ સમાજશાસ્ત્ર વિભાગ, એસ.પી. યુનિવર્સિટી, વિદ્યાનગર)નું જ્ઞાનસભર વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે સમાજશાસ્ત્રનો ઉદ્દભવ, વર્તમાન સમયમાં સમાજનો ખ્યાલ, સામાજિક આંતરક્રિયામાંથી સામાજિક સંબંધોનો ઉદ્દભવ, સામાજિક સંબંધોમાંથી સમૂહ/જૂથની રચના વિષે ખ્યાલ આપ્યો હતો.
સમૂહ/જુથને ટકાવી રાખવા માટે નિયમો/ધોરણો બનાવાય છે. તેમાંથી સામાજિક માળખું બને છે અને સામાજિક ધોરણોમાંથી સંસ્થા અને તેમાંથી સંસ્થાનું માળખું બને છે. ટાલકોટ પારસન્સ આધારે AGILના આધારે સમાજની જરૂરિયાત આધારે વિવિધ સંસ્થાઓ રચાતી હોય છે એમ જણાવી એમ. એન. શ્રીનિવાસને આપેલ પરસંસ્કૃતિકરણની ચર્ચા કરી હતી.
પ્રો.ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીઓને સંશોધન માટે સમાજશાસ્ત્રના ખ્યાલો અને સિદ્ધાંતો વિષે જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, જેમાં વસ્તુલક્ષી, વાસ્તવિક પરિસ્થિતિ શું? અને શા માટે? જેવા પ્રશ્નોનો ઉદ્દભવ અને સમાજની ઘટના/સમસ્યાને વાસ્તવિક ઘટના સાથે પરસ્પરના સંબંધને સમજવા જરૂરી છે. સમાજશાસ્ત્રીય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાથી સમાજની ઘટના/સમસ્યાનો અભ્યાસ સરળ બનશે એમ જણાવી વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંશોધન વિષે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન ડૉ. મોસમ ત્રિવેદી અને ડૉ. જીતેન્દ્ર વસાવાએ તેમજ આભારવિધિ ડૉ. દિક્ષીતાબેન પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં વિભાગના સૌ અધ્યાપકોએ સહયોગ આપ્યો હતો.






