Traffic Tail

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ સઘન બનાવવા તમામનો સહયોગ જરૂરી

SHARE:

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ સઘન બનાવવા તમામનો સહયોગ જરૂરી

રાજ્યમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી અંગે રૂરલ હેલ્થ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ સઘન બનાવવા રૂરલ હેલ્થ કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મેલેરિયા નિર્મૂલનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા વિવિધ પગલાઓ વિશે સંબંધિત અધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

રૂરલ હેલ્થ કમિશનરશ્રી ગઢવીચારણે જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ અને નગરપાલિકાઓ હેઠળ સરકારી બાંધકામ પ્રગતિમાં હોય તેવા સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ ન થાય તે માટે જવાબદાર કોન્ટ્રાકટર મારફતે કામગીરી કરાવવી. વધુમાં, બાંધકામ ચાલુ હોય તે દરમિયાન પણ સમયાંતરે તેનો રિવ્યુ કરવો તેમજ મચ્છર ઉત્પત્તિ સ્થાનો અટકાવવા માટે સ્થાનિક પ્રતિનિધિઓનો સાથ સહકાર મેળવી કામગીરી કરવી. મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારોમાં પેટા કાયદા અને બિલ્ડીંગ બાયલોઝનું ચુસ્ત અમલીકરણ થાય તે માટે તેમની કક્ષાએથી સુનિશ્ચિત કરાવવું.

વધુમાં, તેમણે કહ્યું કે, ઉદ્યોગ વિભાગ મારફતે જી.આઇ.ડી.સી. ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ વિસ્‍તારોમાં કોઇપણ પ્રકારના પાણીનો ભરાવો ન થાય અને ત્યાં કામ કરતા તમામ મજુરોની યાદી તૈયાર કરીને વાહકજન્‍ય રોગ અંતર્ગત તપાસણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવી. શિક્ષણ વિભાગ મારફતે શાળામાં એક શિક્ષકની નોડ્લ તરીકે નિયુક્તિ કરવી. શાળાઓમાં ૪ થી ૫ વિદ્યાર્થીઓની એક ટીમ બનાવી તેઓ દ્વારા દર અઠવાડિએ સ્‍કૂલ કેમ્‍પસની ખુલ્‍લી જગ્‍યામાં સ્‍થગિત થયેલ પાણીમાં મચ્‍છર ઉત્પત્તિ અંગે ચકાસણી કરી તેને દુર કરવું. શાળાઓમાં મેલેરિયા અને અન્‍ય વાહકજન્ય રોગોના સંદર્ભમાં નિબંધ વકૃત્વ સ્‍પર્ધાઓ યોજી તેમાં બાળકોને સહભાગી બનાવવા.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ- આઇ.સી.ડી.એસ. મારફતે તમામ આંગણવાડી કેન્દ્રોમાં કોઇપણ જગ્યાએ મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે સાવચેતી અને તકેદારી રાખવી. આંગણવાડીના બાળકોમાં તાવનું પ્રમાણ જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી લોહીની તપાસ કરાવવી. તેવી રીતે સિંચાઇ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ મારફતે મુખ્ય નહેર, પેટા નહેરો, સાયફન અને રેગ્યુલેટરી ચેમ્બરમાંથી પાણીનું લીકેજ થતું હોય તેવી તમામ જગ્યાએ લીકેજને કાયમી ધોરણે બંધ કરી મચ્છર ઉત્પત્તિ અટકાવવી જોઈએ.

આ બેઠકમાં અધિક નિયામક ડૉ. નિલમ પટેલ ઉપરાંત પંચાયત, આયુષ, નગરપાલિકા, ઉદ્યોગ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, માહિતી અને પ્રસારણ, સિંચાઇ તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!