સુરત શહેર-જિલ્લામાં તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: સુરત જિલ્લામાં અંદાજે ૧૨ લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા
‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ની થીમ પર આયોજિત યોગદિનની ઉજવણીને યોગપ્રેમીઓનો બહોળો પ્રતિસાદ
વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી
ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન ‘યોગ વિદ્યા’ને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરત શહેર-જિલ્લામાં તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં ૧૨,૦૪,૪૮૫ થી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. યોગ પ્રશિક્ષકોએ વિવિધ આસનોનું નિદર્શન અને ધ્યાનની અનૂભૂતિ કરાવી હતી.
સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લાના પદાધિકારીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, સ્પોર્ટ્સ એસોસિએશનો તેમજ જિલ્લા વહીવટીતંત્રમાં ઉચ્ચ અધિકારીઓ, મનપાના અધિકારી-કર્મચારીઓ પણ ઉજવણીમાં સામેલ થયા હતા.
“યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમની સાથોસાથ ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ની થીમ પર યોગ દિનની ઉજવણીમાં તાલુકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, જેલ, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્રો, સરકારી અને ખાનગી સંસ્થાઓ, વોર્ડકક્ષાએ બાગ બગીચાઓ, મનપાના દરેક ઝોનમાં, ગાર્ડન, રમતગમત સંકુલો, વોક-વેમાં યોગદિનના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના આઈકોનિક સ્થળો સહિત જિલ્લાના ૯ તાલુકા, ૪ નગરપાલિકામાં પણ યોગ કાર્યક્રમો યોજાયા હતા. નિયત કાર્યક્રમોમાં ઉપસ્થિત યોગસાધકોએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય યોગ દિન કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.






