અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના શાહ દંપતિના નશ્વરદેહ પરિવારજનોને સોંપાયાઃ

અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના ડી.એન.એ. સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે.
રાજય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુકત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા. પ્રત્યેક મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ દુર્ધટનામાં મૃત્યુ પામેલા સુરત શહેરના અડાજણ ખાતે રહેતા શાહ દંપતિ ડો.અમિતા શાહ અને ડો.હિતેશ શાહના DNA સેમ્પલીંગ મેચ થતા અમદાવાદ સિવિલ થી એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને સાંજે ૫.૦૦ વાગે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા.
ડી.એન.એ. સેમ્પલ મેચીંગ થી લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં જિલ્લા વહીવટીતંત્ર અને રાજય સરકારના અધિકારીઓ મૃતકોના પરિજનો સાથે સહાનુભૂતિપૂર્વક ખડેપગે રહ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો તથા પરિવારજનોએ દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.






