શું તમે જાણો છો આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે કેટલા લાખની મર્યાદામાં લોન મળે છે?
રાજ્યના આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં ૪ ટકાના દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ ૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ. અરજદારે હાયર સેકન્ડરી સાયન્સ અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.
આ પાયલોટ તાલીમ લોન માટે આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ માંડવી યોજના વહીવટદારની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે. આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે અરજી રજુ કરવાની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in પર અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.






