તરસાડી નગરપાલિકા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ન.પા.પ્રાદેશિક કમિશનર ડી.ડી.કાપડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇઃ
‘સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નગરપાલિકાઓમાં સફાઈ કામગીરી વેગવંતી બને તેના આયોજનના ભાગરૂપે તરસાડી નગરપાલિકા ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ડી.ડી.કાપડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તરસાડી નગરપાલિકા વિસ્તારમાં ગંદકી અટકાવવા અને સ્વચ્છતાં જાળવવા અંગેના આયોજન તથા સુરત જિલ્લામાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં જનભાગીદારીને વધુ વ્યાપક બનાવવા માટે બેઠકમાં પાલિકાના નગરસેવકોના રચનાત્મક સૂચનોને લક્ષ્યમાં લેવાયા હતા.
પ્રાદેશિક કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, તરસાડી નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ભરૂચ, અંકલેશ્વર, બારડોલી અને તરસાડી નગરપાલિકાના ૨૦૦ જેટલા સફાઇ કર્મચારીઓ ભેગા મળીને આસપાસના સ્થળોની સફાઇ કરશે. તેમજ પ્લાસ્ટિકની થેલીઓ સહિત પ્લાસ્ટિક મુક્તિ માટે લોકોને જાગૃત્ત કરાશે. આગામી દિવસોમાં પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા માટે તરસાડી નગરમાં ખાણી- પીણીની લારીઓ દ્વારા થતી ગંદકીના નિવારણ પર ઝુંબેશ રૂપે અંકુશ લવાશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી તાં૨૯મીએ તરસાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચશે. આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. તેમજ સરકારની વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવશે.
બેઠકમાં સુરત ઝોન પ્રાદેશિક કચેરી ચીફ ઓફિસર કેતન વાનાણી, ન. પા. પ્રમુખશ્રી કપિલાબેન પરમાર, કાર્યપાલક ઇજનેર કે.એસ.બાગુલ, ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી, કારોબારી સમિતિ અધ્યક્ષ શૈલેષભાઇ ગાંગણી, શાસકપક્ષના નેતા વિશાલભાઇ દેસાઇ, બાંધકામ સમિતિ અધ્યક્ષક ડો.કર્મવીરસિંહ ડોડીયા,અગ્રણી સર્વ કિશોરસિંહ કોસાડા, કેયુરસિંહ પરમાર, ભગવતીભાઇ પ્રજાપતિ, મેહુલભાઇ શાહ, નગરસેવકો, પાલિકાના કર્મચારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




